Last Updated on by Sampurna Samachar
સળંગ બે દિવસ સુધી ચાલી સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
કેન્દ્ર સરકારે સાત દિવસમાં જવાબો આપવાના રહેશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
વક્ફ કાયદામાં કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા સંશોધનો વિરૂદ્ધ કરવામાં આવેલી ફરિયાદો પર સુપ્રીમ કોર્ટે સુનાવણી હાથ ધરી હતી. સુપ્રીમ કોર્ટે પોતે વક્ફ કાયદામાં કેટલીક ખામીઓ હોવાનું કહી સ્પષ્ટતા માંગી છે. જેના પર આ કાયદાનું નિર્માણ કરનારી JPC (જોઈન્ટ પાર્લામેન્ટ કમિટી)ના અધ્યક્ષ જગદંબિકા પાલે દાવો કર્યો છે કે, જો કાયદામાં એક પણ ખામી નીકળી, તો હું મારા સાંસદ પદ પરથી રાજીનામું આપી દઈશ.
સુપ્રીમ કોર્ટે સળંગ બે દિવસ સુધી આ મામલે સુનાવણી હાથ ધરી હતી. જેમાં ઘણા આપત્તિજનક નિયમો ઘડાયા હોવાનું જણાવી કેન્દ્ર સરકાર પાસે સ્પષ્ટતા મંગાવી છે. કેન્દ્ર સરકારે સાત દિવસની અંદર અમુક સળગતા સવાલોનો જવાબ સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવાનો રહેશે.
સુપ્રીમ કોર્ટમાં વિરોધ મામલે ૧૦૦ થી વધુ અપીલ થઈ
જગદંબિકા પાલે જણાવ્યું કે, JPC એ આ મુદ્દે ૩૮ બેઠકો કરી હતી. તમામ સવાલો પાયાવિહોણા છે. અમુક રાજકીય પક્ષો પોતાના લાભ માટે લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. કાયદો અનેક વિચાર-વિમર્શ અને મનોમંથન બાદ ઘડવામાં આવ્યો છે. જો કાયદામાં એક પણ ખામી નીકળી તો હું મારા સાંસદ પદ પરથી રાજીનામું આપી દઈશ.
સુપ્રીમ કોર્ટે વક્ફ કાયદામાં સમાવિષ્ટ ત્રણ નિયમો પર વાંધો ઉઠાવ્યો હતો. તેમજ તે મામલે સ્પષ્ટતા આપવા કેન્દ્ર સરકારને આદેશ કર્યો છે. આ સુધારા હેઠળ હિન્દુ વ્યક્તિને વક્ફ બોર્ડમાં સામેલ કરવાની જોગવાઈ છે.
જેમાં સુપ્રીમે પૂછ્યું કે, તો શું સરકાર હિન્દુ બોર્ડમાં પણ મુસ્લિમ સમુદાયને સામેલ કરવા તૈયાર છે. બીજો વક્ફ બાય યુઝર પ્રોપર્ટીને ડિ-નોટિફાઈ કરવા પર સવાલ ઉઠાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી કે, વક્ફ બાય યુઝર પ્રોપર્ટીને ડિ-નોટિફાઈ કરવામાં આવી તો દેશમાં ગંભીર માહોલ સર્જાશે. તેના પરિણામો ખૂબ ખરાબ આવી શકે છે.
જગદંબિકા પાલે જણાવ્યું હતું કે, બિન-મુસ્લિમોને વક્ફ બોર્ડમાં સામેલ કરવાનો ર્નિણય સુપ્રીમ કોર્ટના ચુકાદાના આધારે જ લેવામાં આવ્યો હતો. ૨૦૧૦માં સુપ્રીમ કોર્ટ અનુસાર, વક્ફ બોર્ડ એક કાયદાકીય સંસ્થા છે, તે ધાર્મિક સંસ્થા નથી. તે વક્ફ પ્રોપર્ટીની દેખરેખ અને જાળવણી કરતી સંસ્થા છે. આ સિવાય અગાઉ પણ સુપ્રીમ કોર્ટે અનેક વખત વિવિધ કેસોમાં કહ્યું છે કે, વક્ફ બોર્ડ એ કાયદાકીય સંસ્થા છે. ધાર્મિક નહીં. જેથી તેમાં વિશ્લેષણના લોકો સહિત અન્ય નિષ્ણાતો સામેલ થઈ શકે છે.
નોંધનીય છે, વિવિધ મુસ્લિમ સંગઠનો અને વિપક્ષો દ્વારા વક્ફ કાયદા ૨૦૨૫નો વિરોધ થઈ રહ્યો છે. આ કાયદો મુસ્લિમોની ઓળખને નષ્ટ કરનારો હોવાનો દાવો કર્યો છે. જ્યારે સરકારે તેને મુસ્લિમોની હિતમાં ગણાવ્યો છે. સુપ્રીમ કોર્ટમાં આ વિરોધ મામલે ૧૦૦થી વધુ અપીલ થઈ છે.