Last Updated on by Sampurna Samachar
આ કંપનીઓમાં કરોડો રૂપિયાનો કારોબાર થયો
આ કેસમાં તપાસ કરીને રિપોર્ટ આપવા માંગ કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તર પ્રદેશના મથુરામાં માત્ર અઢી વીઘા ખેતરના માલિક એક ખેડૂતને ઈન્કમ ટેક્સ વિભાગે રૂ. ૩૦ કરોડની નોટિસ ફટકારી હતી. IT ની નોટિસ મળતાં ખેડૂત મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો અને તેણે તેની ઓળખનો દુરૂપયોગ થયો હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ઉત્તર પ્રદેશના મથુરાના ખેડૂત સૌરભ કુમારને ૨૬ માર્ચે આવકવેરા વિભાગે પોસ્ટ મારફત રૂ. ૩૦ કરોડની નોટિસ ફટકારી હતી. સૌરભે કહ્યું કે તેના પાન કાર્ડ પર બે GST નંબર લેવાયા છે, જેના પર બે નકલી કંપની બનાવાઈ છે. આ કંપનીઓમાં કરોડો રૂપિયાનો કારોબાર થયો છે. સૌરભે કહ્યું કે, ત્રણ વર્ષ પહેલાં આઈટી વિભાગે તેને રૂ. ૧૪ કરોડની નોટિસ આપી હતી.
૧૬ કરોડની લેવડદેવડની માહિતી માંગવામાં આવી
પહેલા તેને લાગ્યું કે કોઈએ તેની સાથે મજાક કરી હશે. જોકે, પાછળથી વકીલ મારફત તેણે IT વિભાગને જવાબ મોકલ્યો કે તેણે કોઈ GST નંબર લીધો નથી. ત્યાર પછી તેણે આ બાબત પર કોઈ ધ્યાન આપ્યું નહોતું. હવે ૨૭ માર્ચે તેની પાસેથી ફરી રૂ. ૧૬ કરોડની લેવડદેવડની માહિતી માંગવામાં આવી હતી.
આથી સૌરભકુમારે મથુરામાં એસપી સીટી ડૉ. અરવિંદ કુમારને ફરિયાદ કરી હતી અને આ કેસમાં તપાસ કરીને રિપોર્ટ આપવા માંગ કરી હતી. આ કેસની તપાસ કરવામાં આવતા ખેડૂતના પાન કાર્ડ પર એક GST નંબર એચઆર એન્ટરપ્રાઈઝ જ્યારે બીજો કવિતા ઈન્ડસ્ટ્રીઝના નામે લેવાયો છે. આ બંને દિલ્હીના શકરપુરના સરનામા પર લેવાયા છે.