Last Updated on by Sampurna Samachar
BCCI ના અધિકારી રાજીવ શુક્લાએ આપી માહિતી
ટુંક સમયમાં BCCI દ્વારા નવી તારીખ જાહેર કરાશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
IPL ૨૦૨૫ અધવચ્ચે જ મુલતવી રાખવામાં આવી હોવાના સમાચાર સામે આવ્યા છે. ૯ મેના રોજ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ની બેઠક બાદ આ મોટો ર્નિણય લેવામાં આવ્યો છે. જેથી હવે IPL ૨૦૨૫ની બાકીની મેચો રમાશે નહીં. તેમજ વિદેશી ખેલાડીઓને પોતાના દેશ પરત મોકલવામાં આવ્યા છે.
BCCI ના અધિકારી રાજીવ શુક્લાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે હાલ IPL ફક્ત અઠવાડિયા માટે અટકાવવામાં આવી છે અને પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષની સ્થિતિ કેવી રહી છે તેને આધારે નવો ર્નિણય લેવામાં આવશે. IPL ૨૦૨૫માં ૮ મે સુધી ૫૮ મેચ રમાઈ હતી, જેમાં પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચનો સમાવેશ થાય છે.
ખેલાડીઓને દિલ્હી પરત લાવવા ખાસ ટ્રેન ચાલી
જ્યાં ૮ મેના રોજ ધર્મશાલામાં યોજાવાની મેચ ભારત-પાકિસ્તાન તણાવને કારણે અધવચ્ચે જ રદ કરવામાં આવી હતી. આ દરમિયાન, ધર્મશાલામાં હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન (HPCA) સ્ટેડિયમ ખાલી કરાવવામાં આવ્યું હતું. ખેલાડીઓને ધર્મશાળાથી દિલ્હી લાવવા માટે એક ખાસ ટ્રેન ચલાવવામાં આવી હતી.
IPL ની આ સીઝન જ સ્થગિત કરવામાં આવી છે. હવે વિશ્વની સૌથી રોમાંચક T ૨૦ લીગની બાકીની મેચો પરિસ્થિતિ સામાન્ય થયા પછી જ યોજાશે. તેની તારીખો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. બીજો વિકલ્પ એ હોઈ શકે છે કે મેચ ખાલી સ્ટેડિયમમાં યોજવામાં આવે અને દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવે.
૨૦૨૪ ની IPL બે ભાગમાં રમાઈ હતી કારણ કે તે જ સમયે લોકસભાની ચૂંટણીઓ પણ યોજાઈ રહી હતી. પહેલો ભાગ ૨૨ માર્ચથી ૭ એપ્રિલ સુધી ચાલ્યો હતો, જેમાં ૨૧ મેચ રમાઈ હતી. આ પછી, જ્યારે ચૂંટણીની તારીખો નક્કી કરવામાં આવી, ત્યારે બાકીની મેચો અને પ્લેઓફ શેડ્યૂલ કરવામાં આવ્યા અને રમાઈ. આ કારણે ટુર્નામેન્ટ સરળતાથી યોજાઈ શકી અને કોઈ સમસ્યા ના થઈ.
આ વર્ષે ઇન્ડિયન પ્રીમિયર લીગ અને પાકિસ્તાન સુપર લીગનું આયોજન લગભગ એકસાથે કરવામાં આવ્યું છે. PSL ૨૦૨૫ ૧૧ એપ્રિલના રોજ શરૂ થઈ હતી. જ્યારે IPL ૨૨ માર્ચે શરૂ થઈ હતી. PSL ડ્રાફ્ટ IPL ૨૦૨૫ મેગા ઓક્શન પછી યોજવામાં આવ્યો હતો, જેથી ફક્ત તે ખેલાડીઓનો જ સમાવેશ કરી શકાય. જે IPL ઓક્શનમાં અનસોલ્ડ રહ્યા હતા.