Last Updated on by Sampurna Samachar
પાકિસ્તાન આર્મી અધિકારીઓએ પરિવારને વિદેશ મોકલી દીધો
ભારત દ્વારા પાકિસ્તાન સામે કરાઇ કાર્યવાહી
(સંપૂર્ણ સમાચાર સેવા)
પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતની કાર્યવાહીથી પાકિસ્તાની સેના ગભરાઈ ગઈ છે. પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે પરિવારને વિદેશ મોકલી દીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાન આર્મીના ઘણા અધિકારીઓએ પોતાના પરિવારોને ખાનગી વિમાન દ્વારા બ્રિટન અને ન્યુ જર્સી મોકલ્યા છે.
પહલગામ આતંકવાદી હુમલાના ૪૮ કલાકની અંદર ભારતે યુદ્ધ જહાજ સુરતથી મિસાઇલ પરીક્ષણ કર્યું હતું, જેનાથી અરબી સમુદ્રમાં દુશ્મનોને કડક સંદેશ મળ્યો છે. આ દરમિયાન, ભારતીય નૌકાદળના યુદ્ધજહાજે મિસાઇલ વડે સમુદ્રમાં એક લક્ષ્યને નષ્ટ કર્યું હતું.
ભારતીય સેના પ્રમુખ જનરલ શ્રીનગર પહોંચ્યા
જ્યારે પાકિસ્તાને અરબી સમુદ્રમાં ગોળીબાર કવાયત શરૂ કરી, ત્યારે જવાબમાં ભારતીય નૌકાદળે વિમાનવાહક જહાજ વિક્રાંતને સમુદ્રમાં ઉતાર્યું હતું. વિક્રાંત પર ફાઇટર જેટ અને એટેક હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા છે. આ દરમિયાન, ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી પહલગામ હુમલાને પગલે પરિસ્થિતિની સમીક્ષા કરવા શ્રીનગર પહોંચ્યા હતા.
આ દરમિયાન આર્મી નોર્ધન કમાન્ડના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ એમવી સુચિન્દ્ર કુમાર પણ આર્મી ચીફ સાથે હતા. પહલગામ આતંકવાદી હુમલા બાદ, આખો દેશ આતંકવાદના આશ્રયદાતા પાકિસ્તાન સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યો છે. ભારતના તમામ રાજકીય પક્ષો પણ આ મુદ્દે કેન્દ્ર સરકારની સાથે છે. પાકિસ્તાન સામે કાર્યવાહી કરતા, કેન્દ્ર સરકારે પાડોશી દેશ સાથેની સિંધુ જળ સંધિ સ્થગિત કરી દીધી છે. અટારી બોર્ડર પરથી અવરજવર બંધ કરી દેવામાં આવી છે. પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરવામાં આવ્યા છે અને તેમને ૪૮ કલાકની અંદર દેશ છોડી દેવાનું કહેવામાં આવ્યું છે.
ગૃહમંત્રી અમિત શાહે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને ફોન કરીને ભારત છોડવાની સમયમર્યાદા પૂર્ણ થયા પછી પણ કોઈ પાકિસ્તાની દેશમાં ન રહે તેની ખાતરી કરવા જણાવ્યું હતું. ભારતે પહેલગામ હુમલા સાથે સરહદ પારના સંબંધોને કારણે પાકિસ્તાની નાગરિકો માટે તાત્કાલિક અસરથી વિઝા સેવાઓ સ્થગિત કરવાની જાહેરાત કરી છે.