Last Updated on by Sampurna Samachar
કર્મચારીઓની રજાઓ રદ અને બદલી બંધ કરવા આદેશ
જો બેદરકારી જણાશે, તો સખ્ત પગલાં લેવાશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારતે કડક વલણ અપનાવ્યું છે અને સેનાએ મોરચો સંભાળી લીધો છે. ત્યારે ભારતની કાર્યવાહીની સીધી અસર પાકિસ્તાનમાં જોવા મળી રહી છે અને તેને મોટા લશ્કરી કાર્યવાહીનો ડર લાગી ગયો છે. જેના પગલે પાકિસ્તાને પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) વહીવટીતંત્રે કટોકટી પ્રતિબંધો લાદ્યા છે અને આરોગ્ય કર્મચારીઓની રજાઓ અને સ્થાનાંતરણ તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપ્યો છે.
જેમાં ઝેલમ વેલી હેલ્થ ડિરેક્ટોરેટ દ્વારા જારી કરાયેલા આદેશમાં કટોકટી પરિસ્થિતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને તમામ હોસ્પિટલો અને આરોગ્ય એકમોમાં તબીબી કર્મચારીઓને તેમના સંબંધિત ડ્યુટી પોઈન્ટ પર તૈનાત રહેવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. એવું પણ કહેવામાં આવ્યું હતું કે કોઈપણ કર્મચારીને રજા કે ટ્રાન્સફર આપવામાં આવશે નહીં. સરકારી વાહનોના ખાનગી ઉપયોગ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આદેશને તાત્કાલિક અસરથી અમલમાં લવાયો
આ આદેશમાં લખવામાં આવ્યુ હતું કે, દેશમાં કટોકટીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, તમામ આરોગ્ય કેન્દ્રોના ઇન્ચાર્જને જિલ્લા મુખ્યાલય હોસ્પિટલ તેમજ જિલ્લાના તમામ તબીબી કેન્દ્રોમાં કોઈપણ અનિચ્છનીય ઘટનાનો સામનો કરવા માટે ડોકટરો, પેરામેડિકલ સ્ટાફ અને એમ્બ્યુલન્સ ડ્રાઇવરોને હંમેશા તૈયાર રાખવાનો નિર્દેશ આપવામાં આવે છે.
આ ઉપરાંત, આરોગ્ય કેન્દ્રોના તમામ તબીબી અધિકારીઓ/પેરા મેડિકલ સ્ટાફ કે જેઓ પહેલેથી જ રજા પર છે, તેમને તેમની રજા રદ કરવા અને ફરજ પર જતા પહેલા ઓફિસની લેખિત પરવાનગી લેવાનો નિર્દેશ આપવામાં આવ્યા છે. જો બેદરકારી જણાશે, તો સંબંધિત ડોકટરો/પેરામેડિકલ મેડિકલ સ્ટાફ સામે શિસ્તભંગના પગલાં લેવામાં આવશે. આ આદેશ તાત્કાલિક અસરથી અમલમાં આવશે.
POK પ્રશાસનના આ અચાનક પગલાથી પાકિસ્તાનમાં ફેલાયેલો ગભરાટ સ્પષ્ટપણે દેખાય છે. ભારતીય સુરક્ષા એજન્સીઓએ પણ આ કટોકટી આદેશને ગંભીરતાથી લીધો છે અને આશંકા વ્યક્ત કરી છે કે લાઈન ઓફ કંટ્રોલ (LOC ) નજીક અસામાન્ય લશ્કરી અથવા આતંકવાદી પ્રવૃત્તિઓ વધી શકે છે. જેના પગલે દક્ષિણ કાશ્મીરના પહલગામ અને આસપાસના વિસ્તારોમાં આતંકવાદીઓ દ્વારા ઘૂસણખોરીના પ્રયાસો અને આતંકવાદી પ્રવૃત્તિઓ ફરીથી સક્રિય થવાની સંભાવના હોવાથી ભારતીય સુરક્ષા દળોએ પહલગામ અને અનંતનાગ જિલ્લામાં પેટ્રોલિંગ અને દેખરેખ વધુ તીવ્ર બનાવી દીધી છે.