Last Updated on by Sampurna Samachar
બાંદીપોરામાં અથડામણ આતંકી લશ્કરના મુખ્ય આતંકીને ઠાર માર્યો
અથડામણ બે સુરક્ષાકર્મી ઘાયલ થયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
જમ્મુ અને કાશ્મીરના બાંદીપોરામાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણમાં લશ્કર એ તૈયબા LASHKER – E- TAIBA (LET) નો ટોપ આતંકી માર્યો ગયો છે. લશ્કરના આતંકી અલ્તાફ લાલીનો સુરક્ષાદળોએ સફાયો કર્યો છે. બાંદીપોરામાં સુરક્ષાદળો અને આતંકી વચ્ચે અથડામણ થઈ હતી.
સુરક્ષાદળોએ વિસ્તારમાં આતંકીઓની સૂચના મળ્યા બાદ બાંદીપોરા જિલ્લામાં ઘેરાબંધી અને સર્ચ અભિયાન શરૂ કર્યું હતું. તેમણે જણાવ્યું કે છૂપાયેલા આતંકીઓ દ્વારા સુરક્ષાદળો પર ફાયરિંગ શરૂ કર્યા બાદ સર્ચ અભિયાન અથડામણમાં ફેરવાઈ ગયું. આ અગાઉ આ એન્કાઉન્ટરમાં એક આતંકી ઘાયલ થયાના સમાચાર હતા. આ દરમિયાન બે સુરક્ષાકર્મી ઘાયલ થયા છે.
તૈયબાના ચાર ઓવર ગ્રાઉન્ડ વર્કરની ધરપકડ
અત્રે જણાવવાનું કે પહેલગામ આતંકી હુમલા બાદ જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે આ ચોથું એન્કાઉન્ટર છે. આ અગાઉ સુરક્ષાદળોએ ઉધમપુરના ડૂડૂ બસંતગઢમાં કેટલાક આતંકીઓને ઘેર્યા હતા. અથડામણમાં સેનાનો એક હવાલદાર શહીદ થયો હતો. બાંદીપોરા પોલીસે કાલે લશ્કર એ તૈયબાના ચાર ઓવર ગ્રાઉન્ડ વર્કરની ધરપકડ કરી હતી.
પોલીસે જણાવ્યું કે તેમને ઈન્ટેલ ઈનપુટ મળ્યા હતા કે લશ્કર એ તૈયબા સંલગ્ન કેટલાક ગ્રાઉન્ડ વર્કર પોલીસ અને બહારના લોકો પર હુમલો કરવાની ફિરાકમાં છે. આ ગુપ્ત માહિતીના આધારે બાંદીપોરા પોલીસે સર્ચ અભિયાન શરૂ કર્યું અને જિલ્લામાં વિવિધ સ્થાનો પર ઘેરાબંધી કરી હતી. અત્રે જણાવવાનું કે પહેલગામમાં ૨૨ એપ્રિલના રોજ થયેલા આતંકી હુમલા બાદ આતંકીઓને પકડવા માટે આ સર્ચ અભિયાન ચાલી રહ્યું છે.