Last Updated on by Sampurna Samachar
વિદેશમંત્રી એસ.જયશંકર અને અફઘાનિસ્તાનના વિદેશમંત્રીની વાતચીત
અફઘાન સરકારે આ હુમલાની આકરી ટીકા કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
આતંકવાદ સામે લડાઈમાં ભારતને મુસ્લિમ દેશ અને તાલિબાન શાસિત અફઘાનિસ્તાનનું પણ સમર્થન મળ્યું છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે અફઘાનિસ્તાનના કાર્યકારી વિદેશ મંત્રી અમીરખાન મુત્તાકી સાથે પહેલીવાર વાતચીત કરી છે. તાલિબાનને ઑગસ્ટ ૨૦૨૧ માં અફઘાનિસ્તાનની સત્તામાં આવ્યા બાદ બંને દેશો વચ્ચે આ પહેલી ઉચ્ચ સ્તરીય વાતચીત છે.
આ વાતચીત એવા સમયે થઈ છે, જ્યારે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા અને ભારત દ્વારા ઓપરેશન સિંદૂર હેઠળ કરવામાં આવેલી જવાબી કાર્યવાહી બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સૈન્ય તણાવ વધ્યો છે. અફઘાન સરકારે આ હુમલાની આકરી ટીકા કરી હતી, જેના જયશંકરે વખાણ કર્યા હતા.
રાજકીય સંબંધોને મજબૂતી આપવા પર ભાર મૂક્યો
એસ. જયશંકરે વાતચીત બાદ એક્સ પર લખ્યું, ‘અફઘાનના કાર્યકારી વિદેશ મંત્રી મૌલવી અમીર ખાન મુત્તાકી સાથે વાતચીત થઈ. પહલગામ હુમલાની તેમની સ્પષ્ટ નિંદા માટે આભાર. અફઘાન અને ભારતની જનતાના પરંપરાગત મૈત્રીપૂર્ણ સંબંધો પર ભાર મૂક્યો અને તેમની વિકાસ જરૂરિયાતો માટે ભારતના સતત સમર્થનની પુષ્ટિ કરી.
તાલિબાનના વિદેશ મંત્રાલય અનુસાર, આ વાતચીતમાં મુત્તાકીએ ભારત સાથે દ્વિપક્ષીય સંબંધોને સશક્ત કરવા, વ્યાપાર વધારવા અને રાજકીય સંબંધોને મજબૂતી આપવા પર ભાર મૂક્યો. તેમણે ભારતને મહત્ત્વપૂર્ણ દેશ જણાવ્યો અને અફઘાનિસ્તાન સાથે ઐતિહાસિક સંબંધોનો ઉલેલખ કરતાં તેને મજબૂત કરવાની આશા વ્યક્ત કરી. મુત્તાકીએ ખાસ કરીને અફઘાન વ્યાપારી અને દર્દીઓ માટે ભારતના વિઝાની પ્રક્રિયાને સરળ બનાવવાની અપીલ કરી. આ સાથે જ ભારતમાં બંધ અફઘાન કેદીઓની મુક્તિ અને સ્વદેશ વાપસીની માંગ કરી.