Last Updated on by Sampurna Samachar
પત્રકારત્વના નામે ખંડણી વસૂલનાર ટોળકી સામે પોલીસની કડક કાર્યવાહી
તપાસમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ડાયમંડ સિટી સુરતમાં છેલ્લા કેટલાક સમયથી RTI (રાઇટ ટુ ઇન્ફોર્મેશન) અને પત્રકારત્વના નામે ખંડણી વસૂલનાર ટોળકી સામે સુરત પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહીના પરિણામે ખંડણીનો ભોગ બનેલા લોકો હવે હિંમત બતાવીને આગળ આવી રહ્યા છે અને પોલીસ ફરિયાદ નોંધાવી રહ્યા છે.
આવો જ એક ચોંકાવનારો કેસ ઉધના વિસ્તારમાં સામે આવ્યો છે, જ્યાં એક વેપારી પાસેથી ૨૨ લાખ રૂપિયાથી વધુની ખંડણી વસૂલી અને વધુ ૩ લાખની માંગણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપનાર કથિત પત્રકારની ઉધના પોલીસે ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં આરોપીએ અન્ય ૨૫ કથિત પત્રકારોનો હવાલો આપ્યો છે, જેની સામે વધુ તપાસ ચાલુ છે.
વેપારી અલ્પેશ ઘેલાણીને ધમકી આપી ખંડણીની માંગતો
ઉધના પોલીસના જણાવ્યા અનુસાર, લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં અલ્પેશભાઈ ઘેલાણીના વેપારીએ વર્ષ ૨૦૨૪ના જાન્યુઆરી માસમાં ઔદ્યોગિક બાંધકામ શરૂ કર્યું હતું. આરોપી પ્રકાશ રાઠોડ પોતાની ઓળખ ‘પવિત્ર દર્પણ‘ સાપ્તાહિક અખબારના માલિક અને રિપોર્ટર તરીકે આપી ‘તારુ બાંધકામ ગેરકાયદેસર છે અને હું તેને ડિમોલિશન કરાવી નાખીશ‘ એવી ધમકીઓ વેપારી અલ્પેશ ઘેલાણીને આપી ખંડણીની માંગતો હતો.
આટલું જ નહીં આરોપી પ્રકાશ રાઠોડે આ બાંધકામ અંગે સુરત મહાનગરપાલિકામાં ઓનલાઈન સ્વાગત કાર્યક્રમ દ્વારા ગેરકાયદે બાંધકામની ફરિયાદ નોંધાવી હતી.
આરોપીએ પ્રકાશ રાઠોડે ફરિયાદીને કહ્યું હતું, “તમારા બાંધકામની એક ઇંટ પણ હું હલવા નહીં દઉં, પરંતુ તેના માટે તમારે ૩૦ લાખ રૂપિયા આપવા પડશે.” જોકે રકઝક બાદ અંતે ૨૫ લાખ રૂપિયામાં ડીલ થઈ નક્કી હતી. આ રકમ અલગ-અલગ હપ્તામાં આપવાનું નક્કી થયું, જેના માટે ફરિયાદી અને આરોપીએ બે અલગ-અલગ ડાયરીઓ બનાવી.
એક ડાયરી ફરિયાદી પાસે અને બીજી આરોપી પાસે રાખવામાં આવી. આરોપી પ્રકાશ રાઠોડે ટુકડે-ટુકડે કરીને વેપારી અલ્પેશ ઘેલાણી પાસેથી ૨૨ લાખ રૂપિયાથી વધુની રકમ વસૂલી લીધી હતી. જોકે આટલી બધી રકમ આપ્યા છતાં ડિસેમ્બર ૨૦૨૪માં સુરત મહાનગરપાલિકાએ ફરિયાદી અલ્પેશ ઘેલાણીના બાંધકામનું ડિમોલિશન કરી દીધું હતું. જેથી અલ્પેશ ઘેલાણીએ આરોપીને આપેલી રકમ પરત કરવા જણાવ્યું હતું.
પરંતુ આરોપી પ્રકાશ રાઠોડે રૂપિયા પરત આપવાને બદલે બાકી રહેલા ૩ લાખ રૂપિયાની માંગણી કરતો અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતો હતો. જે મામલે આખરે વેપારી અલ્પેશ ઘેલાણીએ ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.
ઉધના પોલીસે તપાસ દરમિયાન ફરિયાદી અને આરોપી પાસેથી બે ડાયરીઓ કબજે કરી હતી, જેમાં ફરિયાદી દ્વારા અપાયેલી રકમની વિગતો નોંધાયેલી હતી. તપાસમાં ખુલ્યું કે, આરોપીએ ૨૨ લાખ રૂપિયાથી વધુની રકમ વસૂલી હતી.
આ ઉપરાંત, આરોપી પાસેથી મળેલી બીજી ડાયરીમાં ૨૫ જેટલા કથિત પત્રકારોના નામો સામે આવ્યા છે, જેમને બાંધકામ ડિમોલિશન ન કરાવવા માટે રૂપિયા આપવામાં આવ્યા હોવાની શંકા છે. આ નામોની વધુ તપાસ ચાલુ છે, અને પોલીસને આશંકા છે કે આ કેસમાં મોટા ખુલાસા થઈ શકે છે. ધરપકડ કરાયેલ આરોપી પ્રકાશ રાઠોડ ‘પવિત્ર દર્પણ‘ નામનું સાપ્તાહિક અખબાર ચલાવે છે. આ અખબારના નામે તેણે ફરિયાદીને બાંધકામ તોડાવવાની ધમકી આપી અને લાખો રૂપિયા વસૂલ્યા હતા.
પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે, આરોપીએ અન્ય કથિત પત્રકારોને પણ બાંધકામ સંબંધિત આર્થિક વ્યવહારોમાં સામેલ કર્યા હતા. આરોપીના સોશિયલ મીડિયા પર તે રાજકીય પક્ષો સાથે જાેડાયેલા હોવાના ફોટા પણ મળ્યા છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પ્રકાશ રાઠોડ અગાઉ સુરત મહાનગરપાલિકામાં કોર્પોરેટરની ચૂંટણી લડી ચૂક્યો છે. સુરત પોલીસ એસીપી ચિરાગ પટેલે જણાવ્યું, RTI અને પત્રકારત્વના નામે ખંડણી વસૂલનાર આવા તત્ત્વો સામે સુરત પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે. આ કેસમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે, અને તેની પાસેથી મળેલી ડાયરીઓના આધારે ૨૫ અન્ય કથિત પત્રકારોની ભૂમિકાની તપાસ ચાલુ છે. આગામી તપાસમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છે.”
સુરતમાં RTI અને પત્રકારત્વના નામે ચાલતી ખંડણીની આ ઘટનાએ શહેરના વેપારીઓ અને નાગરિકોમાં ચિંતા ફેલાવી છે. પોલીસની આ કડક કાર્યવાહીથી લોકોમાં હિંમત વધી છે, અને અન્ય પીડિતો પણ આગળ આવી રહ્યા છે. ઉધના પોલીસની આ તપાસમાં હજુ અન્ય આરોપીઓ અને આવા ગેરકાયદે ધંધાના મૂળ સુધી પહોંચવાની શક્યતા છે. આગામી સમયમાં આ કેસમાં થનારા ખુલાસાઓ પર શહેરની નજર રહેશે.