Last Updated on by Sampurna Samachar
કોરા કાગળમાં સહી કરાવીને ખેડૂતને લૂંટી લીધો
ગઢડા પોલીસ સ્ટેશનમાં ઠગાઇ કર્યાની અરજી દાખલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગઢડાના સ્વામી માધવપ્રસાદની ખેડૂત સાથે ઠગાઈ, દોઢ કરોડની જમીન વેચી મારીબોટાદના ગઢડામાં સ્વામી માધવપ્રસાદ સામે ખેડૂતની દોઢ કરોડની જમીન બારોબાર વેચી મારવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
સ્વામીએ ખેડૂતને દોઢ લાખ રૂપિયા વ્યાજે આપીને કોરા કાગળમાં સહી કરાવીને જમીન પડાવી લીધાનો જસદણના દડવા ગામના ખેડૂત પરિવારે આક્ષેપ કર્યો છે. સ્વામીએ ખેડૂતની જમીન પરત નહીં કરીને બીજા વ્યક્તિને બારોબાર જમીન વેચી મારવાનો આરોપ લગાવાયો છે. મૃતક ખેડૂતના પુત્રએ ગઢડા પોલીસ સ્ટેશનમાં માધવપ્રસાદ સ્વામી સામે ઠગાઈની અરજી આપી છે.
ગઢડાના સ્વામીએ ગરીબ ખેડૂત પાસે કરી ઠગાઇ
પ્રાપ્ત વિગતો પ્રમાણે જસદણના દડવા ગામના એક ગરીબ ખેડૂતને દોઢ લાખ રૂપિયા વ્યાજે આપી દોઢ કરોડની જમીન ગઢડાના સ્વામી માધવપ્રસાદજીએ બારોબાર વેચી મારી છે. દડવા ગામના ખેડૂત પ્રાગજીભાઈ વસાણીને ગઢડાના સ્વામી માધવપ્રસાદજીએ દોઢ લાખ રૂપિયા વ્યાજે આપી કોરા કાગળમાં સહી કરાવી લીધી હતી. ખેડૂતે દોઢ લાખના બદલામાં બે લાખ આપ્યા હતાં તેમ છતાં સ્વામીએ જમીન પરત નહીં કરીને બીજા વ્યક્તિને વેચી મારી હતી.