Last Updated on by Sampurna Samachar
એક્ટર મનોજ બાજપેયીનું દર્દ છલકાયું
ટાઇટલ બદલવું અમારા માટે કોઈ મોટી સમસ્યા નથી
(સંપૂર્ણ સમાચાર સેવા)
બોલિવૂડના અભિનેતા મનોજ બાજપેયી હાલમાં તેમની આગામી નેટફ્લિક્સ ફિલ્મ માટે મુશ્કેલીમાં મુકાયા હોવાનુ સામે આવ્યુ છે. ફિલ્મનું શીર્ષક ઘૂસખોર પંડત જાહેર થતાની સાથે જ સોશિયલ મીડિયા પર ભારે વિરોધનો વંટોળ ઊભો થયો હતો. હવે આ સમગ્ર મામલે અભિનેતાએ મૌન તોડ્યું છે અને જણાવ્યું છે કે આ વિવાદ દરમિયાન તેમને અને તેમના પરિવારને કેવા પ્રકારના અત્યાચારનો સામનો કરવો પડ્યો હતો.

એક ઈન્ટરવ્યુમાં મનોજ બાજપેયીએ જણાવ્યું હતું કે, અમે આવી પ્રતિક્રિયાની અપેક્ષા નહોતી રાખી. પરંતુ જ્યારે વિરોધ થયો, ત્યારે માત્ર બે દિવસમાં અમે માફી માંગી લીધી હતી. જો કોઈ બાબતથી કોઈને દુ:ખ પહોંચતું હોય, તો એક કલાકાર તરીકે અમે તેને સુધારવા માટે તૈયાર છીએ. ટાઇટલ બદલવું અમારા માટે કોઈ મોટી સમસ્યા નથી, કારણ કે તેમની પાસે અન્ય સારા વિકલ્પો પણ છે.
સુપ્રીમ કોર્ટમાં ટાઇટલ પાછુ ખેંચવાની બાંહેધરી આપી
તેમણે પીડા વ્યક્ત કરતા કહ્યું કે, જ્યારે લોકો તમને ટ્રોલ કરે છે, ગાળો આપે છે અને તમારા પરિવારને આખી બાબતમાં ઘસડી લાવે છે, ત્યારે મને તેમના માટે સહાનુભૂતિ થાય છે. હું જિજ્ઞાસુ અને શિક્ષિત વ્યક્તિ છું, અને મારી પાસે એવા લોકો સાથે દલીલ કરવાનો સમય કે ઉર્જા નથી, જેઓ પોતાનો અભિપ્રાય આપવામાં ખૂબ જ અધીરા હોય છે.
નીરજ પાંડે દ્વારા લિખિત અને રિતેશ શાહ દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં મનોજ બાજપેયી ઉપરાંત નુસરત ભરૂચા, સાકિબ સલીમ અને દિવ્યા દત્તા મુખ્ય ભૂમિકામાં છે. નીરજ પાંડેએ સ્પષ્ટ કર્યું હતું કે પંડત શબ્દ ફિલ્મમાં એક ઉપનામ તરીકે વપરાયો હતો, કોઈ સમુદાયને બદનામ કરવા માટે નહીં. સુપ્રીમ કોર્ટમાં પણ નિર્માતાઓએ ટાઇટલ પાછું ખેંચવાની અને બદલવાની બાહેંધરી આપી છે.