Last Updated on by Sampurna Samachar
અજિંક્ય રહાણે મુંબઈ ટીમની છોડી કેપ્ટનશીપ
સોશિયલ મીડિયા પર આપી માહિતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
રણજી ટ્રોફીની નવી સીઝન પહેલા અજિંક્ય રહાણેએ એક મોટો ર્નિણય લીધો છે. અજિંક્ય રહાણેએ મુંબઈની કેપ્ટનશીપ છોડવાનો ર્નિણય લીધો છે. રહાણેએ સોશિયલ મીડિયા પર ચાહકો સાથે આ માહિતી શેર કરી છે.

અજિંક્ય રહાણેએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી અને લખ્યું કે “મુંબઈ ટીમની કેપ્ટનશીપ કરવી અને ચેમ્પિયનશીપ જીતવી મારા માટે ખૂબ જ સન્માનની વાત રહી છે. નવી ડોમેસ્ટિક સીઝન આવી રહી છે, મારું માનવું છે કે નવા કેપ્ટનને તૈયાર કરવાનો આ યોગ્ય સમય છે અને તેથી મેં કેપ્ટનશીપની ભૂમિકા ચાલુ ન રાખવાનો ર્નિણય લીધો છે.”
મુંબઈ માટે અત્યાર સુધીમાં ૭૬ ફર્સ્ટ ક્લાસ મેચ રમી
વધુમાં તેમણે લખ્યું કે “હું એક ખેલાડી તરીકે મારું શ્રેષ્ઠ આપવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છું અને મુંબઈ ક્રિકેટ એસોસિએશન સાથે મારી સફર ચાલુ રાખીશ. જેથી આપણે વધુ ટ્રોફી જીતી શકીએ. આ સીઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યો છું.અજિંક્ય રહાણે લાંબા સમય સુધી રણજી ટ્રોફીમાં મુંબઈનું નેતૃત્વ કરી રહ્યા હતા. તેની કેપ્ટનશીપમાં મુંબઈએ ૨૦૨૩-૨૪ સીઝનમાં રણજી ટ્રોફીનો ખિતાબ જીતીને ૭ વર્ષના ટ્રોફી દુષ્કાળનો અંત લાવ્યો. આ ઉપરાંત, રહાણેની કેપ્ટનશીપમાં મુંબઈએ ઈરાની ટ્રોફીનો ખિતાબ પણ જીત્યો.
અજિંક્ય રહાણેએ મુંબઈ માટે અત્યાર સુધીમાં ૭૬ ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે, જેમાં રહાણેએ બેટિંગ કરતી વખતે ૫૨ની સરેરાશથી ૫૯૩૨ રન બનાવ્યા છે. આ દરમિયાન, તેના બેટથી ૧૯ સદી પણ આવી છે. વસીમ જાફર પછી રહાણે મુંબઈ માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં બીજા ક્રમે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે.