Last Updated on by Sampurna Samachar
‘સલાહ આપનારા નહીં પણ સહયોગ આપનારા લોકોની જરૂર છે’
ભારત એક મહત્ત્વપૂર્ણ દેશ બની ગયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
પહલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે. બંને દેશમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે વિદેશ મંત્રી એસ. જયશંકરે યુરોપ સહિત સમગ્ર વિશ્વને સ્પષ્ટપણે સંદેશ આપ્યો છે કે, ભારતને વિશ્વમાં ઉપદેશ આપનારા લોકોની નહીં, પણ સહયોગીઓની જરૂર છે. ખાસ કરીને બેવડું વલણ ધરાવતાં લોકોની તો જરૂર જ નથી.
ડો. એસ. જયશંકરે આર્કિટેક સર્કલ ઈન્ડિયા ફોરમ ૨૦૨૫ માં વિશ્વની બદલાતી સ્થિતિ પર વાત કરતાં યુરોપને સંભળાવ્યું હતું કે, ભારત એવા દેશો સાથે કામ કરવા માંગે છે, જે અંદરોઅંદર સન્માન અને સમજણની લાગણી ધરાવતા હોય. અમુક યુરોપિયન દેશો હજી પોતાના મૂલ્યો અને કાર્યો વચ્ચે તફાવત રાખી રહ્યા છે. જ્યારે અમે વિશ્વ તરફ નજર કરીએ છીએ, ત્યારે અમે પાર્ટનર્સની શોધ કરીએ છીએ. સલાહકારોની નહીં.
વિશ્વ સાથે કામ કરવાનો અનુભવ હોવો જોઈએ
ખાસ કરીને એવા સલાહકારો તો નહીં જ કે, જે તેમના પોતાના ઘરમાં કોઈ કામગીરી કરી રહ્યા નથી અને તે વિદેશને ઉપદેશ (સલાહ) આપે છે. યુરોપ આ સમસ્યા સામે ઝઝૂમી રહ્યું છે. ભારત એવા દેશો સાથે કામ કરવા માંગે છે, જે પ્રમાણિકપણે વ્યવહાર અને સહયોગ આપતાં હોય. ડો.જયશંકરે આગળ કહ્યું કે,‘અમે એક એવી ભાગીદારી સુનિશ્ચિત કરવા માંગીએ છીએ, સામા પક્ષમાં સમજણશક્તિ, સંવેદનશીલતા, પોતાના હિત પ્રત્યે જાગૃત્તિ અને વિશ્વ સાથે કામ કરવાનો અનુભવ હોવો જોઈએ.
એવા સહયોગીની જરર છે, જેમાં બંને પક્ષોની જરૂરિયાતો અને હિતોને ધ્યાનમાં રાખવામાં આવે, સમજણ કેળવાય.‘ ભારત એક મહત્ત્વપૂર્ણ દેશ બની ગયો છે. વિશ્વમાં ક્યાંય પણ કોઈ ઘટના ઘટે કે અર્થતંત્રમાં ફેરફાર થાય, તો તેની અસર ભારત પર પડે છે. અમેરિકા, યુરોપ અને ચીનની બદલાતી ભૂમિકાઓ પર પોતાની સલાહ આપતાં જયશંકરે કહ્યું કે, વિશ્વમાં હરિફાઈ વધી રહી છે. અને હવે ચીજો સરળ નથી રહી. અમેરિકાએ પોતાના વલણમાં મોટા ફેરફારો કર્યા છે. ચીન પણ મોટા ર્નિણયો લઈ રહ્યું છે. આ વધતી જતી હરિફાઈમાં પશ્ચિમી દેશોના બેવડાં વલણ સમજાઈ રહ્યા નથી. પશ્ચિમી દેશ લોકતંત્રને પોતાની વ્યવસ્થા માને છે, જ્યારે અમારે ત્યાં લોકતંત્ર એ માત્ર એક થિયરી નહીં, પરંતુ અમારા માટે તે એક પરિપૂર્ણ કરવામાં આવેલું વચન છે.