Last Updated on by Sampurna Samachar
હુ મારા પરિવાર સાથે રહેવા માંગુ છુ , ચોક્સીએ કહ્યું
ચોક્સીનો ભત્રીજો નીરવ મોદી પણ આ કેસમાં આરોપી
(સંપૂર્ણ સમાચાર સેવા)
પંજાબ નેશનલ બેન્કના ૧૩,૦૦૦ કરોડ રૂપિયાના લોન છેતરપિંડીના કેસમાં ફરાર હીરા વેપારી મેહુલ ચોક્સીને બેલ્જિયમની કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે મેહુલની જામીન અરજી ફગાવી દીધી હતી. ત્રણ ન્યાયાધીશોની બેન્ચે જામીન અરજી પર ચુકાદો આપ્યો હતો.
મેહુલ ચોકસીએ કોર્ટમાં દલીલ કરી હતી કે તેમની તબિયત સારી નથી. તેથી તેને જામીન મળવા જોઈએ. મેહુલે કહ્યું કે તે તેના પરિવાર સાથે રહેવા માંગે છે. વાત કરીએ તો મેહુલ ચોક્સીની ૧૨ એપ્રિલ, ૨૦૨૫ના રોજ બેલ્જિયમમાં ધરપકડ કરવામાં આવી હતી. ભારતે ચોક્સીના પ્રત્યાર્પણ માટે બેલ્જિયમને ઔપચારિક વિનંતી મોકલી છે. ચોક્સીની ધરપકડ કરવામાં આવી ત્યારે તે સ્વિટ્ઝરલેન્ડમાં સારવારના બહાને બેલ્જિયમથી ભાગી જવાની યોજના બનાવી રહ્યો હતો.
ભારતમાં કરેલો ગુનો બેલ્જિયમમાં પણ સજાપાત્ર
વરિષ્ઠ વકીલ સંજય હેગડેએ કહ્યું, ‘તેના પ્રત્યાર્પણ માટે પ્રારંભિક પગલાં લેવામાં આવ્યા છે, પરંતુ આ પ્રક્રિયા લાંબી હશે.‘ મને નથી લાગતું કે તેને આટલી જલદી ભારત લાવી શકાય. બેલ્જિયમમાં સંબંધિત મંત્રાલય તરફથી વહીવટી આદેશની જરૂર પડશે જે કોર્ટના આદેશને આધીન રહેશે. મેહુલને ત્યારે જ ભારત પ્રત્યાર્પણ કરી શકાય છે જો મેહુલે ભારતમાં કરેલો ગુનો બેલ્જિયમમાં પણ સજાપાત્ર ગણાય. બીજી તરફ મેહુલે પ્રત્યાર્પણનો વિરોધ કર્યો છે અને દાવો કર્યો છે કે તેના કેસમાં રાજકીય ગુનો અપવાદ અથવા છૂટનો ક્લોઝ લાગુ થાય છે.
મેહુલ ચોક્સીની ધરપકડ કરતી વખતે બેલ્જિયમ પોલીસે મુંબઈની એક અદાલત દ્વારા તેની વિરુદ્ધ જાહેર કરાયેલા બે ધરપકડ વોરન્ટનો ઉલ્લેખ કર્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ વોરન્ટ ૨૩ મે, ૨૦૧૮ અને ૧૫ જૂન, ૨૦૨૧ ના રોજ જાહેર કરવામાં આવ્યા હતા.
જોકે, એવું કહેવામાં આવી રહ્યું છે કે મેહુલ ચોક્સી ખરાબ સ્વાસ્થ્ય અને અન્ય કારણોને ટાંકીને જામીન અને તાત્કાલિક મુક્તિની માંગ કરી શકે છે. ૧૩,૮૫૦ કરોડ રૂપિયાના પીએનબી કૌભાંડના આરોપસર મેહુલ ચોક્સી પર CBI અને ED દ્વારા કાર્યવાહી ચાલી રહી છે. ચોક્સીનો ભત્રીજો નીરવ મોદી પણ આ કેસમાં આરોપી છે, જે લંડનમાં છૂપાયેલો છે અને તેના પ્રત્યાર્પણની પણ રાહ જોવાઈ રહી છે.