Last Updated on by Sampurna Samachar
પહલગામ હુમલામાં પૂણેના બે મિત્રોએ જીવ ગુમાવ્યાં
કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારે મૃતકના પરિવારની મુલાકાત લીધી
(સંપૂર્ણ સમાચાર સેવા)
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. આ હુમલામાં માર્યા ગયેલા લોકોમાં પૂણેના રહેવાસી સંતોષ જગદાલેનુ પણ મૃત્યુ થયુ હતું. ત્યારે તેમની પુત્રી તેના પિતાના અંતિમ સંસ્કારમાં એ જ લોહીથી લથપથ કપડાં પહેરીને લઈ ગઈ હતી. જે હુમલા સમયે તેમણે પહેર્યા હતા. આ જોઈને ત્યાં હાજર લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. સંતોષની અંતિમ યાત્રામાં હજારો લોકોએ ભાગ લીધો અને પાકિસ્તાન વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા.
આતંકી હુમલામાં સંતોષ જગદાલેની પુત્રી અશાવરી અને તેમની પત્ની બચી ગયા હતા, પરંતુ તેમનું અને તેમના બાળપણના મિત્ર કૌસ્તુભ ગણબોટેનું મૃત્યુ નીપજ્યું હતું. આ આતંકી હુમલામાં ૨૬ લોકો માર્યા ગયા છે. જગદાલે અને ગણબોટેના મૃતદેહ પૂણે લાવવામાં આવ્યા હતા. પુણેમાં બંન્ને મિત્રોના અંતિમ સંસ્કાર નવી પેઠ વિસ્તારના વૈકુંઠ સ્થિત ઇલેક્ટ્રિક સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા હતા. આ દુ:ખની ઘડીમાં આખું શહેર શોકમાં ડૂબી ગયું છે.
લોકોએ પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા
મૃતકોના સંબંધીઓ અને હજારો અન્ય લોકો અંતિમ સંસ્કારમાં જોડાયા હતા. ૨૬ વર્ષીય અશાવરી પિતાને કાંઘ આપી અને હુમલા દરમિયાન જે લોહીથી લથપથ કપડાં પહેર્યા હતા તે જ પહેર્યા જેથી તેમને આ દુર્ઘટનાની યાદ અપાવી શકાય. અંતિમ સંસ્કારમાં હાજર રહેલા લોકોએ પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા.
અગાઉ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારે જગદાલે અને ગણબોટેના ઘરની મુલાકાત લીધી હતી અને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમના પરિવારોએ પવારને મળીને ગુનેગારોને કડકમાં કડક સજા આપવાની માંગ કરી હતી. મહારાષ્ટ્રના મંત્રી માધુરી મિસાલે પણ જગદાલેના ઘરની મુલાકાત લીધી હતી.