Last Updated on by Sampurna Samachar
કેન્દ્ર સરકાર અને વિપક્ષ પાર્ટી આતંકવાદને નાથવા એકજૂટ
સંસદના બંને ગૃહોનું એક ખાસ સત્ર બોલાવવામાં આવે
(સંપૂર્ણ સમાચાર સેવા)
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલાના કારણે આખા દેશમાં ગુસ્સાનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આતંકી હુમલા બાદ કેન્દ્ર સરકાર અને વિપક્ષ પાર્ટી એકજૂટ જોવા મળી છે. ત્યારે આતંક વિરુદ્ધ તમામ લોકો અને રાજકીય પાર્ટી તેમના આકા પાકિસ્તાન (PAKISTHAN) વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.
આ દરમ્યાન હવે કોંગ્રેસ પાર્ટીએ માંગ કરી છે કે પહલગામ હુમલાને લઈને સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવે. જેમાં કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષ નેતા મલ્લિકાર્જૂન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને વિશેષ સત્ર બોલાવવાની માંગ કરી છે.
આપણે હંમેશા આતંકવાદ સામે સાથે રહીશું
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ PM મોદીને ઉદ્દેશીને લખ્યું છે કે આ સમયે જ્યારે એકતા અને એકજૂટતા જરુરી છે, વિપક્ષનું માનવું છે કે, ટૂંક સમયમાં જ સંસદના બંને સદનોના વિશેષ સત્ર બોલાવામાં આવે. આ ૨૨ એપ્રિલ ૨૦૨૫ના રોજ પહલગામમાં નિર્દોષ નાગરિકો પર થયેલા ક્રૂર આતંકવાદી હુમલાના હલ માટે આપણો સામૂહિક સંકલ્પ અને ઈચ્છાશક્તિની એક દ્રઢ અભિવ્યક્તિ હશે. તેમણે કહ્યું કે, અમને આશા છે કે સત્ર બોલાવવામાં આવશે.
PM મોદીને લખેલા પત્રમાં રાહુલ ગાંધીએ કહ્યું, “ પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાથી દરેક ભારતીય ગુસ્સે છે. આ મહત્વપૂર્ણ સમયે, ભારતે બતાવવું જોઈએ કે આપણે હંમેશા આતંકવાદ સામે સાથે રહીશું. વિપક્ષ માને છે કે સંસદના બંને ગૃહોનું એક ખાસ સત્ર બોલાવવું જોઈએ, જ્યાં લોકોના પ્રતિનિધિઓ તેમની એકતા અને દૃઢ નિશ્ચય બતાવી શકે.” કોંગ્રેસ નેતાએ કહ્યું, “અમારી વિનંતી છે કે ખાસ સત્ર શક્ય તેટલું જલ્દી બોલાવવામાં આવે.”
અગાઉ રાષ્ટ્રીય જનતા દળ, ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી અને કપિલ સિબ્બલ જેવા નેતાઓએ પણ પહેલગામ હુમલા અંગે સંસદનું ખાસ સત્ર બોલાવવાની માંગ કરી હતી. અહીં ઉલ્લેખનિય છે કે, ૨૨ એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ૨૬ લોકો માર્યા ગયા હતા. હુમલામાં માર્યા ગયેલા મોટાભાગના લોકો પ્રવાસીઓ અને હિન્દુઓ હતા. જેમને તેમનો ધર્મ પૂછ્યા પછી મારી નાખવામાં આવ્યા હતા.