Last Updated on by Sampurna Samachar
આ હુમલા પાછળ કેટલાક સવાલો ઉભા થયા
હજુ પણ લોકો ભાગલાના ડંખથી પીડાઇ રહ્યા છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
પહલગામમાં આતંકવાદી હુમલા બાદ દેશભરમાં રોષ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે કોંગ્રેસના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મણિશંકર અય્યરે પહલગામ હુમલા પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે પૂછ્યું છે કે શું પહલગામમાં થયેલી આતંકવાદી ઘટના પાછળ દેશના ભાગલાના વણઉકેલાયેલા સવાલોનું પ્રતિબિંબિત દેખાય છે?

ભાગલાના અધૂરા સવાલોની અધૂરી ઝલક ન દેખાઈ?
અય્યરે કહ્યું કે, ૧૯૪૭ માં ભારતનું વિભાજન મૂલ્યો અને રાષ્ટ્રવાદના અલગ અલગ અર્થઘટનને કારણે થયું હતું અને આજે પણ આપણે તેના જ પરિણામો ભોગવી રહ્યા છીએ. શું પહલગામની ત્રાસદી એ જ ભાગલાના અધૂરા સવાલોનો પડછાયો નથી? જ્યારે આખો દેશ આતંકવાદ સામે એકતા બતાવી રહ્યો છે, ત્યારે શું ભાગલા વિશે વાત કરવી એ ઘા પર મીઠું ભભરાવવા જેવું નથી? આ સાથે જ તેમણે કહ્યું કે શું ૨૨ એપ્રિલે પહલગામમાં બનેલી ભયાનક ત્રાસદીમાં ભાગલાના અધૂરા સવાલોની અધૂરી ઝલક ન દેખાઈ?
અય્યરે આગળ કહ્યું કે, તે સમયે ઘણા લોકોએ ભાગલાને રોકવા માટે પોતાનાથી બનતા તમામ પ્રયાસો કર્યા હતા, પરંતુ ઊંડા મતભેદોને કારણે તે ક્યારેય ટાળી ન શકાયું. ભાગલા પડ્યા અને આજે પણ આપણે તેના પરિણામો ભોગવી રહ્યા છીએ. શું આપણે તેને આ રીતે જ સ્વીકારી લેવું જોઈએ?
મણિશંકર અય્યરે કહ્યું કે, તે સમયે ભારત સામે એ જ સવાલ હતો કે લગભગ ૧૦ કરોડ મુસ્લિમોનું શું કરવું. આજે પણ એ જ વાસ્તવિક સવાલ તેને પરેશાન કરી રહ્યો છે કે હવે લગભગ ૨૦ કરોડ મુસ્લિમોનું શું કરવું જોઈએ? આપણે વિચારવું પડશે કે શું આપણે ઝીણાના મંતવ્યને સ્વીકારીએ છીએ અને કહીએ છીએ કે મુસ્લિમો માટે એક અલગ દેશ બની ચૂક્યો છે? શું આપણે મુસ્લિમોને આપણી વચ્ચે તોડફોડ કરનારા તરીકે કે સંભવિત ખતરા તરીકે જોઈ રહ્યા છીએ.
કોંગ્રેસના નેતાએ કહ્યું કે, ૧૯૭૧નું વિભાજન ત્યારે થયું જ્યારે પાકિસ્તાનની અડધાથી વધુ વસતી અને તેના પ્રદેશનો એક મહત્વપૂર્ણ ભાગ જાણી જોઈને એ આધાર પર તેનાથી દૂર ચાલ્યો ગયો કારણ કે મુસ્લિમ હોવું જ પૂરતું નથી અને બંગાળી હોવું પણ મહત્વપૂર્ણ છે.
તેમણે પૂછ્યું કે શું વર્તમાન ભારતમાં મુસલમાન એવું અનુભવે છે કે તેમનો સ્વીકાર કરવામાં આવી રહ્યો છે? શું તે એવું અનુભવે છે કે તેમનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે? શું મુસલમાન એવું અનુભવે છે કે તેમને પણ સન્માન આપવામાં આવી રહ્યું છે ? આપણે આ સવાલોના જવાબો શોધવા પડશે. કોઈપણ મુસ્લિમને પૂછો તમને જવાબ મળી જશે.