Last Updated on by Sampurna Samachar
નિર્દોષ મૃતકો અને પરિવારને ન્યાય અપાવવા ઓપરેશન પાર પડાયું
ભારતના વિદેશ સચિવ અને બે મહિલા લશ્કરી અધિકારીઓ હાજર રહ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ આતંકવાદ સામે મોટી કાર્યવાહી કરી છે. એક સંયુક્ત ઓપરેશન હેઠળ ભારતની ત્રણેય સેનાઓએ પાકિસ્તાનમાં સ્થિત કુલ ૯ આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કરીને કાર્યવાહી કરી છે. મળતા રિપોર્ટ અનુસાર, આ હુમલામાં લગભગ ૯૦૦ આતંકવાદીઓ માર્યા ગયા છે. ભારતે આ કાર્યવાહીને સિંદૂર ઓપરેશન નામ આપ્યું હતું.
ત્યારે આ મામલે લેફ્ટિનન્ટ કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે પ્રેસ બ્રીફિંગમાં એરસ્ટ્રાઇક વિશે માહિતી આપી હતી. ભારતીય સેનાની પ્રેસ બ્રીફિંગમાં કર્નલ સોફિયા કુરેશીએ કહ્યું હતું કે, “નિર્દોષ પ્રવાસીઓ અને તેમના પરિવારોને ન્યાય આપવા માટે ઓપરેશન સિંદૂર શરૂ કરવામાં આવ્યું હતું.
પાકિસ્તાન કાર્યવાહી કરશે તો ભારતીય સેના સામનો કરવા તૈયાર
પાકિસ્તાન છેલ્લા ત્રણ દાયકાથી આતંકવાદી માળખાનું નિર્માણ કરી રહ્યું છે, જે પાકિસ્તાન અને POK બંનેમાં ફેલાયેલું છે.” કર્નલ સોફિયાએ કહ્યું હતું કે, ” ૯ આતંકવાદી કેમ્પોને નિશાન બનાવીને તેનો નાશ કરવામાં આવ્યો હતો. છેલ્લા ત્રણ દાયકામાં પાકિસ્તાને એક આતંકવાદી માળખાનું નિર્માણ કર્યું છે. જે આતંકવાદી કેમ્પ અને લોન્ચપેડ માટે આશ્રયસ્થાન રહ્યું છે. ઉત્તરમાં સવાઈ નાલા અને દક્ષિણમાં બહાવલપુર સ્થિત તાલીમ કેમ્પોને નિશાન બનાવવામાં આવ્યા હતા.”
ભારત સરકારે પોતાના નિવેદનમાં કહ્યું છે કે, ” આ કાર્યવાહીમાં પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી માળખાને નિશાન બનાવવામાં આવ્યું છે, જ્યાંથી ભારત પર આતંકવાદી હુમલાઓની યોજના બનાવવામાં આવી હતી. બીજી તરફ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ભારત દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલાને કાયર ગણાવ્યો છે.
ભારત દ્વારા ઓપરેશન સિંદૂર અંગે યોજાયેલી સત્તાવાર પ્રેસ કોન્ફરન્સમાં ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરી અને બે મહિલા લશ્કરી અધિકારીઓ હાજર હતા. પ્રથમ કર્નલ સોફિયા કુરેશી અને બીજા વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ, બંને મહિલા અધિકારીઓએ ભારતીય સેનાની બહાદુરી વિશ્વ સમક્ષ રજૂ કરી અને ભારતીય સેના પાકિસ્તાન દ્વારા પોષાયેલા આતંકવાદને કેવી રીતે ખતમ કરી રહી છે તેની માહિતી આપી હતી.
આ બે મહિલા અધિકારીઓની સોશિયલ મીડિયા પર સતત ચર્ચા થઈ રહી છે અને દરેક ભારતીય તેમની પ્રશંસા કરી રહ્યા છે. આવી સ્થિતિમાં એ જાણવું મહત્વપૂર્ણ બની જાય છે કે આ બે અધિકારીઓ કોણ છે અને ભારતીય સેના અને ભારત સરકારે આ મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ માટે તેમને શા માટે પસંદ કર્યા.
વાત કરીએ તો કર્નલ સોફિયા કુરેશીએ સૌપ્રથમ POK માં નાશ પામેલા આતંકવાદી સંગઠનો વિશે બ્રીફિંગ આપ્યું હતું. તેમણે કહ્યું કે હુમલામાં નાશ પામેલા મુઝફ્ફરાબાદમાં સવાયનાલા કેમ્પ નિયંત્રણ રેખા (LOC) થી ૩૦ કિમી દૂર છે. આ લશ્કર-એ-તૌયબાનું ટ્રેનિંગ સેન્ટર હતું, જ્યાંથી ગયા વર્ષે ઓક્ટોબરમાં સોનમાર્ગ અને ગુલમર્ગ હુમલા અને હવે ૨૨ એપ્રિલના પહલગામ હુમલાના આતંકવાદીઓએ તાલીમ લીધી હતી.
કર્નલ સોફિયા કુરેશીએ જણાવ્યું હતું કે મુઝફ્ફરાબાદના સઇદના બિલાલ કેમ્પ પણ નષ્ટ મોહમ્મદ માટે એક છાવણી વિસ્તાર હતો અને શસ્ત્રો, વિસ્ફોટકો અને જંગલમાં બચવાની તાલીમનું કેન્દ્ર હતું, તે પણ નાશ પામ્યો હતો. કોટલીનો ગુલપુર કેમ્પ LOC થી ૩૦ કિમી દૂર હતો અને લશ્કર-એ-તૌયબાનો અડ્ડો હતો. કર્નલ સોફિયા કુરેશીએ જણાવ્યું હતું કે ઓપરેશનમાં નાશ પામેલો આ કેમ્પ જમ્મુ અને કાશ્મીરના રાજૌરી અને પૂંછમાં સક્રિય હતો. ૨૦ એપ્રિલ, ૨૦૨૩ ના રોજ પૂંછ અને ૯ એપ્રિલ, ૨૦૨૪ના રોજ યાત્રાળુ બસ પર હુમલો કરનારા આતંકવાદીઓએ અહીંથી તાલીમ લીધી હતી.
કર્નલ સોફિયા કુરેશીએ વધુમાં જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સીમાથી ૧૦૦ કિમી દૂર આવેલા જૈશ-એ-મોહમ્મદના હેડક્વાર્ટર મરકઝ સુભાનલ્લાહ કેમ્પને પણ નષ્ટ કરવામાં આવ્યો હતો. આ ભરતી અને તાલીમનું કેન્દ્ર હતું અને ટોચના આતંકવાદીઓ પણ અહીં આવતા હતા. કર્નલ સોફિયા કુરેશીએ સ્પષ્ટતા કરી, કોઈ પણ પાકિસ્તાની લશ્કરી કેમ્પને નિશાન બનાવવામાં આવ્યો નથી. કોઇ નાગરિકને જાનહાનિના અહેવાલ છે. આભાર, જય હિન્દ!
દરમિયાન વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે પ્રેસ બ્રીફિંગના અંતે પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું કે અમે પાકિસ્તાન તરફથી કોઈપણ પ્રકારની પ્રતિક્રિયાનો સામનો કરવા માટે તૈયાર છીએ. તેમણે કહ્યું કે જો પાકિસ્તાન ભવિષ્યમાં કોઈ ઉશ્કેરણીજનક કાર્યવાહી કરશે તો ભારતીય સેના તેનો જવાબ આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.