Last Updated on by Sampurna Samachar
‘જમ્મુ અને કાશ્મીર સરકાર આ દુ:ખની ઘડીમાં તમારી સાથે’
ગંભીર રીતે ઘાયલ દરેકને ૨ લાખ રૂપિયાની જાહેરાત
(સંપૂર્ણ સમાચાર સેવા)
જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પહેલગામ આતંકી હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને ૧૦-૧૦ લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. CMO દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને ૨-૨ લાખ રૂપિયા આપવામાં આવશે. જ્યારે મામૂલી ઇજાગ્રસ્તોને ૧ લાખ રૂપિયાની રકમ આપવામાં આવશે.
કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરના CM ઓમર અબ્દુલ્લાએ પહેલગામ આતંકી હુમલાને ઘૃણાસ્પદ હુમલો ગણાવ્યો છે. તેમણે કહ્યું કે હું નિર્દોષ નાગરિકો પર બર્બર હુમલાથી ઊંડો આઘાત અનુભવું છું. તેમણે કહ્યું, “પહલગામમાં થયેલા જઘન્ય આતંકવાદી હુમલાથી ખૂબ દુ:ખ થયું છે. નિર્દોષ નાગરિકો વિરુદ્ધ ક્રૂરતાના આ બર્બર અને મૂર્ખતાભર્યા કૃત્યને આપણા સમાજમાં કોઈ સ્થાન નથી.
મૃતકોના પરિવારજનોને ૧૦-૧૦ લાખ રૂપિયાની જાહેરાત
અમે આ ઘટનાની સખત નિંદા કરીએ છીએ.”જમ્મુ અને કાશ્મીરના CMO કાર્યાલય વતી આ સંદર્ભમાં કહેવામાં આવ્યું હતું કે અમે અમૂલ્ય જીવ ગુમાવવા પર શોક વ્યક્ત કરીએ છીએ. આતંકવાદી હુમલામાં નિર્દોષ નાગરિકોના જાનહાનિની કોઈ રકમ ભરપાઈ કરી શકતી નથી. આ હોવા છતાં, જમ્મુ અને કાશ્મીર સરકારે મૃતકોના પરિવારજનોને ૧૦-૧૦ લાખ રૂપિયા, ગંભીર રીતે ઘાયલ દરેકને ૨ લાખ રૂપિયા અને મામૂલી ઘાયલોને ૧ લાખ રૂપિયાની સહાય આપવાનો ર્નિણય કર્યો છે.
CMO એ પોતાના નિવેદનમાં કહ્યું છે કે પીડિતોને તેમના ઘરે પરત લઈ જવા માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. ઘાયલોને શ્રેષ્ઠ તબીબી સંભાળ પૂરી પાડવામાં આવી રહી છે. અમે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ. જમ્મુ અને કાશ્મીર સરકાર આ દુ:ખની ઘડીમાં તમારી સાથે છે. આતંકવાદ ક્યારેય અમારા સંકલ્પને તોડી શકશે નહીં. જ્યાં સુધી આ બર્બરતા પાછળના લોકોને ન્યાય આપવામાં નહીં આવે ત્યાં સુધી અમે આરામ કરીશું નહીં.