Last Updated on by Sampurna Samachar
બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે શ્રમિકોના શરીરના ટુકડા દુર સધી ફેંકાયા
રાજકોટની દુર્ઘટનાની યોગ્ય કાર્યવાહી કરી હોત તો આ દુર્ઘટના ન બની હોત , સાંસદ ગેનીબેને કહ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
બનાસકાંઠા જિલ્લાના ડીસામાં પર ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ અને આગ લાગવાની દુર્ઘટના સર્જાઇ હતી. જે દુ:ખદ ઘટનામાં અનેક શ્રમિકોએ પોતાના જીવ ખોયા છે. જેમાં મૃત્યુઆંક ૨૧ એ પહોંચ્યો છે. ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ થયા બાદ આગ ફેલાઇ અને બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે ગોડાઉન ધરાશાયી થઈ ગયું અને કામ કરી રહેલા શ્રમિકોના શરીરના ટુકડા થઈ ગયા હતા. મૃત્યુઆંક હજુ પણ વધવાની આશંકા સેવાઇ રહી છે.
ડીસા દુર્ઘટનામાં SIT ની રચના કરવામાં આવી છે. જેમાં DYSP ની આગેવાનીમાં બે પોલીસ ઇન્સ્પેક્ટર અને બે પોલીસ સબ ઇન્સ્પેક્ટરને સામેલ કરાયા છે. DYSP સી.એલ. સોલંકી, PI વી.જી.પ્રજાપતિ, PI એ.જી. રબારી, PSI એસ.બી. રાજગોર અને PSI એન.વી. રહેવારને SIT માં સામેલ કરાયા છે. ઘટનાને પગલે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અને મંત્રી બળવંત સિંહ રાજપૂત સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. સિવિલ હોસ્પિટલ ખાતે મંત્રીઓ અને અધિકારીઓની બેઠક યોજાઈ હતી. બીજી તરફ ફેક્ટરીમાં કામ કરતા એક યુવાનની પૂછપરછ કરવામાં આવી રહી છે.
મૃતકો મધ્ય પ્રદેશના રહેવાસી હોવાનું અનુમાન
મળતી માહિતી મુજબ, ડીસા (DEESA) માં ઢુંવા રોડ પર આવેલી ફટાકડાની ફેક્ટરીમાં વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. ટૂંક જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઘટનાની જાણ થતાં તુરંત ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે શ્રમિકોના અંગના ટુકડા દૂર દૂર સુધી ફેંકાયા હતા. ૨૦૦ મીટર સુધી ફેક્ટરીનો કાટમાળ ફેલાયો હતો, જે હટાવવા માટે JCB ની મદદ લેવાઈ હતી. વિસ્ફોટના કારણે ગોડાઉનની છત પણ ધરાશાયી થઈ ગઈ હતી. ત્યારે તમામ મૃતકો મધ્ય પ્રદેશના રહેવાસી હોવાનું અનુમાન છે.
મળતી માહિતી પ્રમાણે આ શ્રમિકો હાલમાં જ પૈસા કમાવવા માટે અહીં જોડાયા હતા અને મજૂરી કરતાં. મૃતકોની ઓળખ માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ મામલે બનાસકાંઠાના કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું છે, કે ‘ડીસાના ઔદ્યોગિક ક્ષેત્રમાં ભયાનક વિસ્ફોટની જાણકારી મળી. ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. ઈજાગ્રસ્ત શ્રમિકોને હોસ્પિટલ લઈ જવાયા છે. વિસ્ફોટના કારણે ફેક્ટરીનો સ્લેબ ધરાશાયી થયો હતો.‘
વધુમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડીસાની ઘટનાને લઈને દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે ‘X ‘ પર લખ્યું છે કે, ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં વિસ્ફોટ થવાથી આગ લાગવાના લીધે અને સ્લેબ ધરાશાયી થવાના લીધે શ્રમિકોના મૃત્યુની ઘટના હૃદયદ્રાવક છે. દુ:ખની આ ઘડીમાં મારી આત્મીય સંવેદના મૃતકોના સ્વજનોની સાથે છે. આ દુર્ઘટનામાં રાહત-બચાવ અને સારવારની કામગીરીને લઈને હું વહીવટીતંત્ર સાથે સતત સંપર્કમાં છું.‘
સાંસદ ગેનીબેન ઠાકોરે મીડિયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ‘નિર્દોષ લોકોને શાંતિ મળે એવી પ્રાર્થના કરુ છું. રાજકોટ પછીની આ બીજી ગોઝારી ઘટના બની છે. વહીવટી તંત્રની મોટી ચૂક છે. મંજૂરી આપતી વખતે શું ધ્યાન રાખ્યું એ પણ તપાસનો વિષય છે. નિર્દોષ લોકોના મોત થયા છે એમના પરિવારજનોને ન્યાય મળે એ માટે કાર્યવાહી કરવા ઉચ્ચ કમિટી બનાવવા માટે પણ હું રજૂઆત કરીશ. રાજ્ય સરકારે જો રાજકોટ બાદ યોગ્ય કાર્યવાહી કરી હોત તો કદાચ આ દુર્ઘટના ન બની હોત. હું અપેક્ષા રાખું કે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.‘
કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આ અંગે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે, ‘અતિશય દુ:ખદ સમાચાર મળ્યા કે, બનાસકાંઠાના ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાના કારણે ૧૭ વ્યક્તિઓના દુ:ખદ મૃત્યુ થયા. ગુજરાતમાં વારંવાર આવી ઘટનાઓ બને છે.
સુરતનું તક્ષશિલા હોય કે રાજકોટનો અગ્નિકાંડ હોય, કેટલાય લોકોએ જીવ ગુમાવ્યા હતા. તેમ છતાં સરકારને કોઈ ચિંતા જ નથી, એ વાતનું દુ:ખ.‘ જાણકારી અનુસાર ગોડાઉન માત્ર ફટાકડાનો સ્ટોક કરવાની જ મંજૂરી હતી છતાં ત્યાં ફટાકડા બનાવવાની ફેક્ટરી શરૂ કરી દેવાઈ હતી. એવામાં હવે કોની બેદરકારીના કારણે શ્રમિકોએ જીવ ગુમાવ્યો તેની તપાસ જરૂરી છે.