Last Updated on by Sampurna Samachar
દુર્ઘટનાના સાત દિવસમાં ઘાયલને હોસ્પિટલમાં મળશે કેશલેસ સારવાર
કોઈપણ વ્યક્તિ આ યોજના હેઠળ કેશલેસ સુવિધા માટે હકદાર
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેન્દ્ર સરકાર દ્વારા માર્ગ અકસ્માતગ્રસ્ત લોકો તેમજ તેમના પરિવારોને મોટી રાહત આપવામાં આવી છે. આ અંગે સરકારે એક જાહેરનામું બહાર પાડીને દુર્ઘટનાઓમાં ઘાયલોને તત્કાળ કેશલેસ સારવાર ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા ઊભી કરી છે.
માર્ગ પરિવહન મંત્રાલયના આ જાહેરનામા અનુસાર આ યોજના અંતર્ગત દુર્ઘટનાના સમયથી સાત દિવસમાં કોઈપણ માન્ય હોસ્પિટલમાં ઘાયલોને દોઢ લાખ (૧.૫ લાખ) રૂપિયા સુધીની સારવાર કેશલેસ ઉપલબ્ધ થશે. આ યોજના ૫ મે, ૨૦૨૫થી લાગુ થઈ હોવાનું જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે. સરકારે બહાર પાડેલા જાહેરનામા અનુસાર, કોઈ પણ માર્ગ ઉપર વાહન દ્વારા થયેલા અકસ્માતને કારણે ભોગ બનેલા કોઈપણ વ્યક્તિ આ યોજના હેઠળ કેશલેસ સુવિધા માટે હકદાર રહેશે.
કેન્દ્રીય મંત્રીએ કરી હતી જાહેરાત
નોંધપાત્ર છે કે, કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ થોડા સમય પહેલાં માર્ગ અકસ્માતો અંગે ચિંતા વ્યક્ત કરીને અકસ્માતોના પીડિતોને રાહત આપવા માટે યોજના લાવવામાં આવશે તેવી જાહેરાત કરી હતી.