Last Updated on by Sampurna Samachar
છત્તીસગઢની ગુરુ ઘાસીદાસ યુનિવર્સિટીનો બનાવ
જમણેરી સંગઠનોએ જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
છત્તીસગઢના બિલાસપુર જિલ્લામાં ગુરુ ઘાસીદાસ સેન્ટ્રલ યુનિવર્સિટીના રાષ્ટ્રીય સેવા યોજના (NSS) શિબિર દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓને નમાઝ પઢવા માટે દબાણ કરવા બદલ સાત શિક્ષકો સહિત આઠ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. જે અંગે એક પોલીસ અધિકારીએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે કોટા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના શિવતરાઈ ગામમાં ૨૬ માર્ચથી ૧ એપ્રિલ દરમિયાન યોજાયેલા NSS કેમ્પ દરમિયાન, ૧૫૯ વિદ્યાર્થીઓને નમાઝ પઢવાની ફરજ પાડવામાં આવી હતી, જ્યારે તેમાંથી ફક્ત ચાર વિદ્યાર્થીઓ મુસ્લિમ હતા.
અધિકારીના જણાવ્યા અનુસાર વિદ્યાર્થીઓના વિરોધ બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી, ત્યારબાદ જમણેરી સંગઠનોએ પણ જવાબદારો સામે કાર્યવાહીની માંગણી સાથે આંદોલન કર્યું હતું. તેમણે કહ્યું, “ આ ઘટના ૩૧ માર્ચે બની હતી. બિલાસપુરના વરિષ્ઠ પોલીસ અધિક્ષક રજનીશ સિંહે આ મામલાની તપાસ માટે શહેર પોલીસ અધિક્ષક (કોતવાલી) અક્ષય સબદારાના નેતૃત્વમાં ચાર સભ્યોની સમિતિની રચના કરી હતી. તપાસ રિપોર્ટ વરિષ્ઠ પોલીસ અધિક્ષકને સુપરત કર્યા બાદ કેસ નોંધવામાં આવ્યો હતો.
ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ ગુનો નોંધાયો
અધિકારીએ જણાવ્યું હતું કે ગુરુ ઘાસીદાસ સેન્ટ્રલ યુનિવર્સિટીના સાત શિક્ષકો અને ટીમના મૂળ નેતા અને વિદ્યાર્થી પર ભારતીય ન્યાય સંહિતા અને છત્તીસગઢ ધાર્મિક સ્વતંત્રતા અધિનિયમ હેઠળ ધર્મના આધારે જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા, ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા અને અન્ય ગુનાઓ માટે ગુનો નોંધવામાં આવ્યો છે.
તેમણે કહ્યું કે હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. કોટા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ સુમિત કુમારે જણાવ્યું હતું કે ‘કેસ ડાયરી’ મળી આવી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. તેમણે કહ્યું, “ FIR માં નામ આપવામાં આવેલા લોકોને તેમના નિવેદનો નોંધાવવા માટે હાજર રહેવા માટે નોટિસ મોકલવામાં આવશે. તપાસના આધારે કાર્યવાહી કરવામાં આવશે.”
આ કિસ્સામાં, યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ કોલેજ કેમ્પસમાં પ્રદર્શન કર્યું હતું અને કાર્યવાહીની માંગ કરી હતી. વિદ્યાર્થીઓના વિરોધ બાદ કાર્યવાહીની પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવી છે. હાલમાં પોલીસ આ સમગ્ર મામલાની તપાસમાં વ્યસ્ત છે.