Last Updated on by Sampurna Samachar
આતંકી હુમલા બાદ ભારતનો મોટો નિર્ણય
આંતરરાષ્ટ્રીય સુરક્ષા મુદ્દાઓ પર થવાની છે ચર્ચા
(સંપૂર્ણ સમાચાર સેવા)
પહેલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન સાથે વધતા તણાવને કારણે, NSA અજિત ડોભાલ અને વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આવતા અઠવાડિયે BRICS NSA અને વિદેશ મંત્રીઓની બેઠકમાં હાજરી આપશે નહીં. આ બેઠક ૩૦ એપ્રિલે બ્રાઝિલમાં યોજાશે. અહેવાલ મુજબ, ડેપ્યુટી NSA પવન કપૂર આ બેઠકમાં અજિત ડોભાલના સ્થાને ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
બ્રિક્સ NSA બેઠકમાં, સરહદ પાર આતંકવાદ તેમજ અન્ય આંતરરાષ્ટ્રીય સુરક્ષા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું હતું કે સરહદ પારથી આતંકવાદ, આતંકવાદીઓને ભંડોળ પૂરું પાડવું અને તેમના નેટવર્કને ખતમ કરવું આ બેઠકના સૌથી મહત્વપૂર્ણ મુદ્દાઓમાં સામેલ હશે.
AI , ક્લાઇમેટ ફાઇનાન્સ બાબતે થશે ચર્ચા
જુલાઈમાં યોજાનારી સમિટના કાર્યસૂચિને અંતિમ સ્વરૂપ આપવા અને તેને સુધારવા માટે ૧૧ બ્રિક્સ દેશોના વિદેશ પ્રધાનો અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો એકસાથે મળશે. આ બેઠક ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ક્લાઇમેટ ફાઇનાન્સ, ક્રોસ બોર્ડર પેમેન્ટ પહેલ અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં સુધારા જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે.
માહિતી અનુસાર, રિયો ડી જાનેરોમાં ૬-૭ જુલાઈના રોજ યોજાનારી બ્રિક્સ સમિટમાં આર્ટિફિશયલ ઈન્ટેલીજન્સ અને ક્લાઈમેટ ચેન્જ, નાણાકીય બાબતો પર વિશેષ દસ્તાવેજો તૈયાર કરવામાં આવશે અને તેને અપનાવવામાં આવે તેવી શક્યતા છે.
પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે, ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજોએ લાંબા અંતરના ચોકસાઇ હુમલા માટે તેમની તૈયારી દર્શાવતા અભ્યાસ સફળતાપૂર્વક હાથ ધર્યો.
ભારતીય નૌકાદળના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “ભારતીય નૌકાદળના જહાજોએ લાંબા અંતરના ચોકસાઇવાળા આક્રમક હુમલા માટે પ્લેટફોર્મ, સિસ્ટમ અને ક્રૂની તૈયારીને ફરીથી પ્રમાણિત કરવા અને દર્શાવવા માટે વિનાશક કવાયત સફળતાપૂર્વક હાથ ધરી હતી.” તેમણે કહ્યું કે ભારતીય નૌકાદળ રાષ્ટ્રના દરિયાઈ હિતોનું રક્ષણ કરવા માટે ગમે ત્યારે, ગમે ત્યાં અને દરેક રીતે યુદ્ધ માટે તૈયાર છે.
પાકિસ્તાની સેનાએ જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા (LOC) પર તુતમારી ગલી અને રામપુર સેક્ટરની સામે સ્થિત ભારતીય ચોકીઓ પર ગોળીબાર કર્યો હતો. ભારતીય સેનાએ પણ આ ફાયરિંગનો જવાબ આપ્યો હતો. ભારતીય સેનાના જણાવ્યા અનુસાર આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી.