Last Updated on by Sampurna Samachar
પત્નીએ આંખમાં મરચાનો પાવડર નાખી ચપ્પુના ઘા માર્યા
આ મામલે DGP ના પુત્રે ફરિયાદ નોંધાવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
કર્ણાટકના પૂર્વ DGP ઓમ પ્રકાશની પત્ની દ્વારા હત્યા કરી દીધી હોવાના ઘટસ્ફોટ બાદ વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. ૬૮ વર્ષીય નિવૃત્ત DGP ના પેટ અને છાતી પર ચપ્પાના ઘા મારી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. પત્ની સાથે સંપત્તિ વિવાદ મામલે ઝઘડો થતાં પત્નીએ પહેલાં મરચાનો પાવડર ફેંકી પતિને દોરડાં વડે બાંધી દીધા હતા અને બાદમાં ચપ્પાના ઘા મારી હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. હુમલામાં એક કાચની બોટલનો પણ ઉપયોગ થયો હતો.
સુત્રોએ જણાવ્યા પ્રમાણે, હત્યા બાદ નિવૃત્ત અધિકારીની પત્નીએ પોતે જ અન્ય એક પોલીસ કર્મીને આ હત્યા વિશે માહિતી આપી હતી. બાદમાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ઓમ પ્રકાશની પત્ની અને તેની પુત્રીની ધરપકડ કરી હતી. બંનેની આશરે ૧૨ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. હત્યામાં તેમની પુત્રીની ભૂમિકા છે કે નહીં, તેની તપાસ થઈ રહી છે. આ મામલે DGP ના પુત્રે ફરિયાદ નોંધાવી છે.
બંને વચ્ચે થયેલા ઝઘડાનુ પરિણામ મોત
રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે, ઓમ પ્રકાશ અને તેમની પત્ની વચ્ચે જમીન-સંપત્તિ મામલે વિવાદ થયો હતો. ઓમ પ્રકાશે પોતાની એક સંપત્તિ કોઈ સંબંધીના નામે કરી દીધી હતી. જેના કારણે બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડો વધતાં બંને વચ્ચે મારામારી થઈ હતી. બાદમાં પત્નીએ પતિની આંખમાં મરચાનો પાવડર નાખી તેમને દોરડા વડે બાંધી દીધા હતા. અને છાતી તથા પેટના ભાગે ચપ્પાના ઘા મારી હત્યા કરી હતી.
બેંગ્લુરૂના ACP વિકાસ કુમારે જણાવ્યું હતું કે, અમને વહેલી સવારે ચાર વાગ્યે પૂર્વ DGP ની હત્યા થઈ હોવાની જાણકારી મળી હતી. ઓમ પ્રકાશ ૧૯૮૧ બેન્ચના IPS અધિકારી હતાં. તેઓ ૨૦૧૫માં કર્ણાટકના DGP બન્યા હતાં. તે પહેલાં તેઓ ફાયરબ્રિગેડ, ઈમરજન્સી સેવાઓ અને હોમ ગાર્ડ વિભાગના વડા તરીકે કાર્યરત હતા.