લિવ-ઈન રિલેશનશિપમાં રહેવું એ ગુનો નથી , હાઇકોર્ટે કહ્યું

Share this Article:

Last Updated on by Sampurna Samachar

લિવ ઈન રિલેશનશિપ મામલે અલ્હાબાદ હાઇકોર્ટનો ચૂકાદો

જો યુગલ રક્ષણ માંગે તો રક્ષણ આપવા હાઇકોર્ટનો નિર્દેશ

(સંપૂર્ણ સમાચાર સેવા)

અલ્લાહાબાદ હાઈકોર્ટે તાજેતરમાં આપેલા એક મહત્ત્વના ચુકાદામાં સ્પષ્ટતા કરી છે કે, ઉત્તર પ્રદેશનો ધર્માંતરણ વિરોધી કાયદો પુખ્ત વયના આંતરધર્મીય યુગલોને સાથે રહેતા રોકતો નથી. ઉત્તર પ્રદેશ ગેરકાયદે ધર્મ પરિવર્તન નિષેધ અધિનિયમ ૨૦૨૧ આંતરધર્મીય લગ્નો કે સાથે રહેતા (લિવ-ઈન) યુગલો પર પ્રતિબંધ મૂકતો નથી.

લિવ-ઈન રિલેશનશિપમાં રહેવું એ ગુનો નથી. આ દરમિયાન કોર્ટે આવા ૧૨ યુગલને સુરક્ષા આપવાનો પણ નિર્દેશ કર્યો હતો. દેશમાં લિવ-ઈન રિલેશનશિપ અને ખાસ કરીને અલગ ધર્મના યુગલો વચ્ચેના સંબંધોને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્ચે અલ્લાહાબાદ હાઈકોર્ટે આ ચુકાદો આપ્યો છે.

સુનાવણીમાં હાઈકોર્ટે તમામ ૧૨ યુગલને રાહત આપી

અલ્લાહાબાદ હાઈકોર્ટમાં ૧૨ અલગ અલગ યુગલે અરજી કરી હતી, જેમાં ૭ મુસ્લિમ યુવતીઓ હિન્દુ યુવકો સાથે અને ૫ હિન્દુ યુવતી મુસ્લિમ યુવકો સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેતી હતી. આ યુગલોએ કોર્ટ પાસે પોલીસ સુરક્ષાની માંગ કરી હતી. તેમનો આક્ષેપ હતો કે તેમના પરિવારજનો અને સમાજના કેટલાક તત્ત્વો તરફથી તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે.

અલ્લાહાબાદ હાઈકોર્ટના જસ્ટિસ વિવેક કુમાર સિંહની ખંડપીઠે આ મામલે સુનાવણી કરતા જણાવ્યું હતું કે, જ્યાં સુધી ધર્મ પરિવર્તનનો મુદ્દો ન હોય ત્યાં સુધી આ કાયદાની કલમો લાગુ પડતી નથી. કોર્ટે નોંધ્યું કે, આ યુગલો પુખ્ત છે અને મરજીથી સાથે રહી રહ્યા છે. કોર્ટ તેમને માત્ર ‘હિન્દુ‘ કે ‘મુસ્લિમ‘ તરીકે નહીં, પરંતુ બે પુખ્ત વ્યક્તિ તરીકે જુએ છે.

ભારતીય બંધારણની કલમ ૨૧ દરેક નાગરિકને તેની પસંદગીની વ્યક્તિ સાથે રહેવાનો અને જીવન જીવવાનો અધિકાર આપે છે. ધર્મના આધારે આ અધિકાર છીનવી શકાય નહીં.

આ દરમિયાન ઉત્તર પ્રદેશ સરકારે દલીલ કરી હતી કે આ યુગલોએ ધર્માંતરણ માટે કલેક્ટર પાસે અરજી નથી કરી, તેથી આ સંબંધ ગેરકાયદે છે. જોકે , કોર્ટે આ દલીલ ફગાવતા કહ્યું કે આ યુગલોએ ધર્મ બદલ્યો જ નથી, તેઓ પોતપોતાના ધર્મનું પાલન કરીને સાથે રહે છે, તેથી ધર્માંતરણની મંજૂરી લેવાની કોઈ જરૂર નથી.

આ સુનાવણીમાં હાઈકોર્ટે તમામ ૧૨ યુગલને રાહત આપતા સંબંધિત જિલ્લાના પોલીસ વડાઓને આદેશ આપ્યો છે કે, જો આ યુગલો સુરક્ષાની માંગ કરે, તો તેમને તાત્કાલિક રક્ષણ પૂરું પાડવામાં આવે. કોર્ટે એમ પણ કહ્યું કે જો કોઈ વ્યક્તિ તેમને બળજબરીથી ધર્મ પરિવર્તન કરવા દબાણ કરે, તો યુગલો તેની વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી શકે છે.

નોંધનીય છે કે, અલ્લાહાબાદ હાઈકોર્ટનો આ ર્નિણય એવા સમયે આવ્યો છે, જ્યારે ધર્માંતરણ વિરોધી કાયદાના દુરુપયોગની ફરિયાદો ઉઠી રહી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે વ્યક્તિગત સ્વતંત્રતા અને પસંદગીનો અધિકાર એ ધાર્મિક માન્યતાઓ કરતા પણ ઉપર છે. જો બે પુખ્ત વ્યક્તિ સંમતિથી સાથે રહેતા હોય, તો કુટુંબ, સમાજ કે રાજ્ય તેમાં દખલગીરી કરી શકે નહીં.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.