Last Updated on by Sampurna Samachar
હૈદરાબાદનો આ બિઝનેસમેન ગેરકાયદે કામ કરી કરે લોકોનો સંપર્ક
BCCI એ IPL ૨૦૨૫માં તમામ ટીમને આપી ચેતવણી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI ) એ IPL ૨૦૨૫ની તમામ ૧૦ ટીમોને ચેતવણી આપી છે. BCCI એ આપેલી ચેતવણીમાં કહેવામાં આવ્યું છે કે, હૈદરાબાદનો એક બિઝનેસમેન ગેરકાયદેસર કામ કરાવવા માટે લોકોનો સંપર્ક કરી રહ્યો હતો.
મળતા રિપોર્ટ અનુસાર BCCI એ તમામ ક્રિકેટરો, કોચ, કોમેન્ટેટર્સ અને સપોર્ટ સ્ટાફને આ બિઝનેસમેનથી સાવધાન રહેવા કહ્યું છે. એવું કહેવાય છે કે, આ ઉદ્યોગપતિ ઘણા બુકીઓના સંપર્કમાં છે. આ વ્યક્તિ ટુર્નામેન્ટમાં લોકોને મોંઘી-મોંઘી ભેટ આપીને પોતાની વાત મનાવે છે.
BCCI મેચ ફિક્સિંગ જેવી ઘટનાઓનો સંપૂર્ણપણે વિરોધ કરે
ક્રિકબજના એક રિપોર્ટ અનુસાર આ બિઝનેસમેન સામાન્ય રીતે પહેલા ટીમના માલિકો, ખેલાડીઓ, કોચ, સપોર્ટ સ્ટાફ અને ત્યાં સુધી કે કોમેન્ટેટર્સના પરિવારના સભ્યો સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કરે છે. એન્ટી-કરપ્શન યુનિટનું માનવું છે કે, આ વ્યક્તિ અગાઉ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ રહ્યો છે.
આ રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, હૈદરાબાદનો આ બિઝનેસમેન મેદાનમાં ફેન્સ બનીને IPL માં ભાગ લેનારા ખેલાડીઓ, કોચ અને કોમેન્ટેટર્સનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. તે ટીમની હોટલ અને મેદાનમાં પણ જોવા મળ્યો છે. તે ખેલાડીઓ અને સ્ટાફને ખાનગી પાર્ટીઓમાં આમંત્રણ આપે છે અને તેમને ઘરેણાં સહિત મોંઘી-મોંઘી ભેટો આપે છે.
આ સંદર્ભમાં BCCI એ IPL ૨૦૨૫માં ભાગ લેનારી બધી ટીમો અને તેમની તરફથી રમી રહેલા ખેલાડીઓ પાસેથી સમર્થન માંગ્યું છે. BCCI મેચ ફિક્સિંગ જેવી ઘટનાઓનો સંપૂર્ણપણે વિરોધ કરે છે અને ક્રિકેટની અખંડિતતા બનાવી રાખવા માટે પ્રતિબદ્ધ છે.
૨૦૧૩માં થયેલી મેચ ફિક્સિંગની ઘટનાને ઇન્ડિયન પ્રીમિયર લીગના ઇતિહાસમાં સૌથી મોટું કૌભાંડ માનવામાં આવે છે. મેચ ફિક્સિંગ મામલામાં રાજસ્થાન રોયલ્સના ત્રણ ખેલાડીઓ, એસ શ્રીસંત, અજીત ચંદીલા અને અંકિત ચૌહાણની દિલ્હી પોલીસે ધરપકડ કરી હતી. આ મામલામાં પાછળથી ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સના ટીમ પ્રિન્સિપાલોની પણ ધરપકડ કરવામાં આવી હતી.