Last Updated on by Sampurna Samachar
શરબત જિહાદ શબ્દને લઇ દિલ્હી હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી
કોઈ બ્રાન્ડ કે સમુદાયનું નામ લીધું નથી તેમ કહી કર્યો બચાવ
(સંપૂર્ણ સમાચાર સેવા)
બાબા રામદેવએ કરેલા નિવેદનને લઇ દિલ્હી હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. જેમાં શરબત જિહાદ શબ્દથી હાઈકોર્ટનો આત્મા હચમચી ગયો છે અને સ્વામી રામદેવ સામે કોર્ટે સખત નારાજગી વ્યક્ત કરી છે. કોઈ કંપનીનું નામ લીધા વિના સ્વામી રામદેવે શરબત જિહાદ શબ્દપ્રયોગ કર્યો હતો જેની સામે દિલ્હી હાઈકોર્ટે આજે નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે સ્વામી રામદેવના નિવેદનને અક્ષમ્ય ગણાવીને કહ્યું કે તેનું સમર્થન ન થઈ શકે. કોર્ટના વલણ પછી સ્વામી રામદેવ (RAMDEV) ના વકીલે અદાલતમાં આશ્વાસન આપ્યું કે, અમે એ વીડિયો હટાવી દઈશું.
મળતા અહેવાલ મુજબ, ‘હમદર્દ નેશનલ ફાઉન્ડેશન ઇન્ડિયા’ દ્વારા ‘પતંજલિ ફૂડ્સ લિમિટેડ’ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી રહેલા ન્યાયમૂર્તિ અમિત બંસલે કહ્યું, “ આનાથી અદાલતનો અંતરાત્મા હચમચી ગયો છે. આ યોગ્ય નથી. રામદેવના વકીલ તમારા અસીલ પાસેથી સૂચનાઓ લો, નહીં તો સખત આદેશ આપવામાં આવશે.” બાદમાં સ્વામી રામદેવે પોતાની ટિપ્પણીનો બચાવ કરતાં કહ્યું કે તેમણે કોઈ બ્રાન્ડ કે સમુદાયનું નામ લીધું નથી.
કમાણીમાંથી મસ્જિદો અને મદરેસાઓ બનાવે છે
નોંધપાત્ર છે કે તાજેતરમાં સ્વામી રામદેવનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તેઓ કહેતા સંભળાયા હતા કે લોકો ઉનાળામાં તરસ છિપાવવા માટે કોલ્ડ ડ્રિંક્સ પીવે છે. આ ખરેખર ટોયલેટ ક્લીનર જેવા હોય છે. તેમણે આગળ કહ્યું કે એક તરફ ટોયલેટ ક્લીનર જેવા ઝેરનો હુમલો છે, અને બીજી તરફ એક કંપની છે જે શરબત વેચે છે. તેની કમાણીમાંથી મસ્જિદો અને મદરેસાઓ બનાવે છે.
સ્વામી રામદેવે કોઈનું નામ તો લીધું નહોતું, પરંતુ એવું માનવામાં આવે છે કે તેમનું નિશાન ‘રૂહ અફઝા’ પર હતું. એ વીડિયોમાં સ્વામી રામદેવે આગળ કહ્યું હતું કે જો તમે શરબત પીઓ છો તો તેનાથી મસ્જિદો અને મદરેસાઓના નિર્માણને સમર્થન મળશે. પરંતુ, જો તમે પતંજલિનું ગુલાબ શરબત પીઓ તો તેનાથી ગુરુકુળ, આચાર્યકુળમ, પતંજલિ વિશ્વવિદ્યાલય અને ભારતીય શિક્ષણ બોર્ડનો વિકાસ થશે.