Last Updated on by Sampurna Samachar
ચાલુ ટ્રેનમાં મુસાફરોને મળશે ATM ની સુવિધા !
મુંબઈ-મનમાડ પંચવટી એક્સપ્રેસમાં કરાઇ સુવિધા
(સંપૂર્ણ સમાચાર સેવા)
હવે ટ્રેનમાં મુસાફરી કરવી એ પહેલાં વધુ આરામદાયક થતી જોવા મળી રહી છે. જેમાં ટ્રેનમાં આરામદાયક ખુરશીઓથી લઈને મોબાઈલ ફોન ચાર્જિંગ અને લેમ્પ જેવી કેટલીયે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. જોકે, રેલવેના વિકાસની આ પ્રક્રિયા હજુ અટકી નથી.
હાલમાં મળતી એક માહિતી પ્રમાણે રેલવેએ ટ્રેનોમાં ATM મશીનનું પરીક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી કે, આ ક્યારે અને વ્યાપક સ્તરે ક્યારે લાગુ કરવામાં આવશે. સેન્ટ્રલ રેલ્વેએ મુંબઈ-મનમાડ પંચવટી એક્સપ્રેસમાં પ્રાયોગિક ધોરણે ATM લગાવ્યું છે. અધિકારીઓએ આ માહિતી આપતા જણાવ્યું હતું કે, ‘આ ATM એક ખાનગી બેંક દ્વારા આપવામાં આવ્યું છે અને તે આ દૈનિક એક્સપ્રેસ સેવાના એર-કન્ડિશન્ડ ચેર કાર કોચમાં સ્થાપિત કરવામાં આવ્યું છે. તેમના કહેવા પ્રમાણે હવે ટૂંક સમયમાં મુસાફરો માટે આ સુવિધા ઉપલબ્ધ થઈ જશે.
સુરક્ષા અને પ્રવેશ સુનિશ્ચિત કરવા દરવાજો લગાવાયો
મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સ્વપ્નિલ નીલાએ જણાવ્યું હતું કે, ‘પંચવટી એક્સપ્રેસમાં પ્રાયોગિક ધોરણે ATM લગાવવામાં આવ્યું છે. આ ATM કોચના પાછળના ભાગમાં એક ક્યુબિકલમાં લગાવવામાં આવ્યું છે, જ્યાં પહેલા એક કામચલાઉ પેન્ટ્રી હતી. ટ્રેન ચાલુ હોય ત્યારે સુરક્ષા અને પ્રવેશ સુનિશ્ચિત કરવા માટે એક શટરવાળો દરવાજો પણ લગાવવામાં આવ્યો છે.
અધિકારીએ જણાવ્યું હતું કે, મનમાડ રેલ્વે વર્કશોપમાં આ કોચમાં જરૂરી ફેરફારો કરવામાં આવ્યા હતા. પંચવટી એક્સપ્રેસ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને નાસિક જિલ્લામાં મનમાડ જંક્શન વચ્ચે દોડે છે. આ ટ્રેન તેની એકતરફી મુસાફરી લગભગ ૪ કલાક ૩૫ મિનિટમાં પૂરી કરે છે.