Last Updated on by Sampurna Samachar
વ્હાઇટ-લેબલ ATM ઓપરેટરોની વિનંતીથી લેવાયો નિર્ણય
નાની બેંકોના ગ્રાહકો પર થશે અસર
(સંપૂર્ણ સમાચાર સેવા)
જે લોકો અવાર નવાર ATM માંથી પૈસા ઉપાડે છે તે લોકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. મળતા એક રિપોર્ટ અનુસાર, આગામી દિવસોમાં ATM માંથી રોકડ ઉપાડવા મોંઘા થઈ શકે છે. જેમાં ૧ મે થી ATM માંથી રોકડ ઉપાડવી મોંઘી થવા જઈ રહી છે.
આ પાછળનુ કારણ એ છે કે ભારતીય રિઝર્વ બેંક એ ઇન્ટરચેન્જ ફીમાં વધારો કર્યો છે. આ વધેલી ફી ત્યારે લાગુ પડશે જ્યારે ગ્રાહકો ફ્રી વ્યવહાર મર્યાદા ઓળંગ્યા પછી પણ અન્ય ATM માંથી રોકડ ઉપાડશે. અન્ય બેંકોના ATM માંથી મફત વ્યવહારોની મર્યાદા મેટ્રો શહેરોમાં પાંચ અને નોન-મેટ્રો શહેરોમાં ત્રણ છે.
નાણાકીય વ્યવહાર માટે વધારાના ૨ રૂપિયા ચૂકવવા પડશે
ત્યારબાદના વ્યવહારો વધારાના શુલ્કને આધીન રહેશે. ATM ઇન્ટરચેન્જ ફી એ એક ફી છે. જે એક બેંક બીજી બેંકને ATM સેવાઓ પૂરી પાડવા માટે ચૂકવે છે. આ ફી, સામાન્ય રીતે પ્રતિ વ્યવહાર એક નિશ્ચિત રકમ, ઘણીવાર ગ્રાહકોને તેમના બેંકિંગ ખર્ચના ભાગ રૂપે આપવામાં આવે છે.
૧ મેથી, ગ્રાહકોએ મફત મર્યાદાથી વધુ દરેક નાણાકીય વ્યવહાર માટે વધારાના ૨ રૂપિયા ચૂકવવા પડશે. બેલેન્સ પૂછપરછ જેવા બિન-નાણાકીય વ્યવહારો માટેના ચાર્જમાં ૧ રૂપિયાનો વધારો થશે. પરિણામે, ATM માંથી રોકડ ઉપાડવા માટે પ્રતિ ટ્રાન્ઝેક્શન ૧૯ રૂપિયાનો ખર્ચ થશે, જે પહેલા ૧૭ રૂપિયા હતો. સત્તાવાર સૂચના મુજબ, એકાઉન્ટ બેલેન્સ ચેક કરવા માટે હવે પ્રતિ ટ્રાન્ઝેક્શન ૭ રૂપિયાનો ખર્ચ થશે.
વ્હાઇટ-લેબલ ATM ઓપરેટરોની વિનંતીઓને પગલે RBI એ આ ચાર્જમાં સુધારો કરવાનો ર્નિણય લીધો, જેમણે દલીલ કરી હતી કે વધતા ઓપરેશનલ ખર્ચ તેમના વ્યવસાયોને અસર કરી રહ્યા છે. ચાર્જમાં વધારો સમગ્ર દેશમાં લાગુ થશે અને તેની અસર ગ્રાહકો પર થવાની ધારણા છે, ખાસ કરીને નાની બેંકોના ગ્રાહકો પર. આ બેંકો ATM ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સંબંધિત સેવાઓ માટે મોટી નાણાકીય સંસ્થાઓ પર આધાર રાખે છે, જેના કારણે તેઓ વધતા ખર્ચ માટે વધુ સંવેદનશીલ બને છે.
તમને જણાવી દઈએ કે એક સમયે ATM ને એક ક્રાંતિકારી બેંકિંગ સેવા તરીકે જોવામાં આવતું હતું. જોકે, ડિજિટલ પેમેન્ટના વધારાને કારણે તે ભારતમાં સંઘર્ષ કરી રહ્યું છે.
ઓનલાઈન વોલેટ અને UPI વ્યવહારોની સુવિધાએ ATM રોકડ ઉપાડની જરૂરિયાતમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. સરકારી આંકડા દર્શાવે છે કે નાણાકીય વર્ષ ૨૦૧૪ માં ભારતમાં ડિજિટલ ચુકવણીનું મૂલ્ય ૯૫૨ લાખ કરોડ રૂપિયા હતું. નાણાકીય વર્ષ ૨૩ સુધીમાં, આ આંકડો વધીને રૂ. ૩,૬૫૮ લાખ કરોડ થવાનો અંદાજ છે, જે કેશલેસ વ્યવહારો તરફના મોટા પાયે પરિવર્તનને પ્રતિબિંબિત કરે છે.