Last Updated on by Sampurna Samachar
નક્સલવાદીઓએ લગાવેલા પ્રેશર બોંબ પર પગ પડતા વિસ્ફોટ થયો
તહેનાત સુરક્ષા જવાનોને નિશાન બનાવવા માટે કરે છે આવી હરકત
(સંપૂર્ણ સમાચાર સેવા)
છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં સશસ્ત્ર દળોના એક જવાનનો પગ પ્રેશર બોંબ પર પડતા ભયાનક વિસ્ફોટ થયાની ઘટના સામે આવી હતી. જેમાં તે જવાન શહીદ થયા હતા. પોલીસ અધિકારીઓએ કહ્યું કે, જિલ્લાના તોયનારથી ફરસેગઢ વચ્ચે આવેલા મોરમેડ ગામના જંગલમાં IED ની ઝપેટમાં આવતા CAF ૧૯વી બટાલિયનના ૨૬ વર્ષિક જવાન મનોજ પુજારી શહીદ થયા છે.
તેમણે કહ્યું કે, તોયમારથી ફરસેગઢ વચ્ચે રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ ચાલી રહ્યું છે, તેની સુરક્ષા કરવા માટે CAF ની ટીમ પેટ્રોલિંગ પર ગઈ હતી. ટીમ જ્યારે તોયનારથી ફરસેગઢ તરફ ચાર કિલોમીટર દુર મોરમેડ ગામના જંગલોમાં હતી. આ દરમિયાન જવાન મનોજ પુજારીનો પગ પ્રેશર બોંબ પર પડતા વિસ્ફોટ થયો હતો, જેમાં તેઓ શહીદ થયા છે.
અગાઉ જાન્યુઆરીમાં થયો હતો આવો હુમલો
પોલીસ અધિકારીઓએ કહ્યું કે, ‘ગ્રામજનોને યોગ્ય સુવિધા અને સુરક્ષા મળે તે માટે રસ્તાના નિર્માણ કાર્યમાં તહેનાત કરેલા જવાનોને નક્સલીઓએ નિશાન બનાવ્યા છે, જે કાયરતાપૂર્વકનું કૃત્ય છે. અમે નક્સલીઓ વિરુદ્ધનું અભિયાન સતત ચાલુ રાખીશું. માઓવાદીઓ નક્સલ પ્રભાવિત ક્ષેત્રોમાં તહેનાત સુરક્ષા જવાનોને નિશાન બનાવવા માટે જંગલો અને રસ્તાઓ પર પ્રેશર બોંબ લગાવી દે છે. આવી ઘટનાઓમાં અનેક જવાનો શહીદ અને અનેક ઘાયલ થયા છે.
આ અગાઉ જાન્યુઆરીમાં નક્સલીઓએ આવો જ હુમલો કર્યો હતો, જેમાં ડ્રાઈવર સહિત ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડના આઠ જવાનો શહીદ થયા હતા. નક્સલીઓએ બીજાપુર જિલ્લામાં રોડ પર IED છુપાવીને આ વિસ્ફોટને અંજામ આપ્યો હતો, જવાનોનું વાહન આ IED પરથી પસાર થતા જ મોટો વિસ્ફોટ થયો હતો. ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG) ના આઠ જવાનો અને ડ્રાઇવર નક્સલવાદ વિરોધી ઓપરેશન પાર પાડીને સ્કોર્પિયો SUV માં પરત ફરી રહ્યા હતા, એવામાં બિજાપુરના આમ્બેલી ગામમાં નક્સલીઓએ IED થી વિસ્ફોટ કર્યો હતો, જેની અડફેટે સ્કોર્પિયો કાર આવી ગઇ હતી. કારમાં બેઠેલા તમામ જવાનો અને ડ્રાઇવરના સ્થળ પર જ મોત નિપજ્યા હતા.