Last Updated on by Sampurna Samachar
છત્તીસગઢ-તેલંગણા સરહદ પર થઇ હતી અથડામણ
નકસલ વિરોધી અભિયાનમાં ૧૦,૦૦૦ જવાનો જોડાયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
છત્તીસગઢ-તેલંગણા સરહદે સુરક્ષા દળો સાથેના એન્કાઉન્ટરમાં ત્રણ મહિલા નકસલવાદીઓના મોત થયા છે તેમ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે બસ્તર ક્ષેત્રમાં માઓવાદી વિરુદ્ધના મેગા ઓપરેશનમાં ૧૦,૦૦૦ વધુ જવાનો જોડાયા હતાં.
અધિકારીઓએ જણાવ્યું હતું કે છત્તીસગઢના બિજાપુર જિલ્લાની બાજુમાં આવેલા પાડોશી રાજ્ય તેલંગણાની સરહદ પર નકસલી પ્રવૃત્તિઓની માહિતી મળ્યા પછી સુરક્ષા દળોની સંયુક્ત ટીમને નકસલ વિરોધી અભિયાન માટે મોકલવામાં આવી હતી. જ્યારે ટીમ બંને રાજ્યોના સરહદી વિસ્તાર કરેગુટ્ટાના પવર્તીય ક્ષેત્રમાં હતી. ત્યારે સુરક્ષાદળો અને નકસલી દળો વચ્ચે થયેલી અથડામણમાં યુનિફોર્મ પહેરેલ ત્રણ નકસલવાદી મહિલાઓના મોત થયા હતાં.
છ નકસલવાદીઓએ આત્મ સમર્પણ કર્યુ
બસ્તર વિસ્તારમાં શરુ કરવામાં આવેલા સૌથી મોટા નકસલ વિરોધી અભિયાનમાં વિવિધ વિભાગોના ૧૦,૦૦૦ જવાનોને સામેલ કરવામાં આવ્યા છે. આ અભિયાનમાં ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG), બસ્ટર ફાઇટર્સ, સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF), રાજ્ય પોલીસના તમામ યુનિટ, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) અને તેના કમાન્ડો બટાલિયન્સ ફોર સિઝોલ્યુટ એક્શન (કોબ્રા) ના જવાનો સામેલ હતાં.
બીજી તરફ છત્તીસગઢના બે જિલ્લાઓ નારાયણપુર અને કબીરધામ જિલ્લામાં કુલ ૧૭ લાખ રૂપિયાનું ઇનામ ધરાવતા છ નકસલવાદીઓએ આત્મ સમર્પણ કર્યુ છે. આત્મ સમર્પણ કરનારા નકસલીઓમાં એક દંપતિ પણ સામેલ છે.