Last Updated on by Sampurna Samachar
અત્યાર સુધીમાં શંકાસ્પદ આતંકવાદીઓના નવ મકાનો તોડાયા
પાંચ દિવસમાં ઘાટીમાં ૫૦૦ થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
જમ્મુ અને કાશ્મીરમાં પહલગામ આતંકવાદી હુમલા બાદ આતંકવાદી નેટવર્ક સામે તેની કાર્યવાહી ચાલુ રાખીને સત્તાવાળાઓએ બાંદીપોરા, પુલવામા અને શોપિયા જિલ્લામાં ત્રણ કથિત સક્રિય આતંકવાદીઓના ઘરોને તોડી પાડ્યા હતા. આ સાથે ૨૨ એપ્રિલે પહલગામની બૈસરન ખીણમાં થયેલા હુમલા બાદ અત્યાર સુધીમાં શંકાસ્પદ આતંકવાદીઓના નવ મકાનો તોડી પાડવામાં આવ્યા છે.
પહેલગામ આતંકવાદી હુમલા પછી આતંકવાદ વિરોધી કામગીરીએ વેગ પકડ્યો છે, જે અંતર્ગત સુરક્ષા દળોએ માત્ર પાંચ દિવસમાં ઘાટીમાં ૫૦૦ થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા છે અને સેંકડો શંકાસ્પદોની પૂછપરછ કરી છે.
શેરગોજરી ૨૦૧૬ થી સક્રિય આતંકવાદી
રાજકીય પક્ષોએ કેન્દ્રને વિનંતી કરી છે કે તે સુનિશ્ચિત કરે કે આતંકવાદીઓ સામે કાર્યવાહી કરતી વખતે નિર્દોષ લોકોને નિશાન બનાવવામાં ન આવે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગયા વર્ષે આતંકવાદી જૂથમાં સામેલ થયેલા આતંકવાદી અદનાન શફીનું ઘર શોપિયાં જિલ્લાના વાંડીનામાં તોડી પાડવામાં આવ્યું હતું.
તેમણે કહ્યું કે પુલવામાં જિલ્લામાં અન્ય એક શંકાસ્પદ સક્રિય આતંકવાદી આમિર નઝીરનું ઘર પણ તોડી પાડવામાં આવ્યું હતું. બાંદીપોરા જિલ્લામાં લશ્કર-એ-તૈયબાના શંકાસ્પદ આતંકવાદી જમીલ અહેમદ શેરગોજરીના ઘરને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું હતું. શેરગોજરી ૨૦૧૬ થી સક્રિય આતંકવાદી છે.
આ સાથે પહેલગામ હુમલા બાદથી અત્યાર સુધીમાં આતંકવાદીઓ અને તેમના સહયોગીઓના નવ મકાનો તોડી પાડવામાં આવ્યા છે. મંગળવારે દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામમાં આતંકવાદીઓના ગોળીબારમાં ઓછામાં ઓછા ૨૬ લોકો માર્યા ગયા હતા, જેમાં મોટાભાગના પ્રવાસીઓ હતા.
જમ્મુ અને કાશ્મીરમાં સક્રિય આતંકવાદી નેટવર્ક સામે સુરક્ષા એજન્સીઓએ મોટા પાયે ઓપરેશન શરૂ કર્યું હોવાથી, પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP) ના વડા મહેબૂબા મુફ્તીએ કહ્યું કે કેન્દ્રએ સાવચેતીપૂર્વક ચાલવું જોઈએ જેથી નિર્દોષ લોકો પરિણામ ભોગવે નહીં. X પરની એક પોસ્ટમાં મુફ્તીએ કહ્યું કે ભારત સરકારે તાજેતરના પહેલગામ હુમલા બાદ સાવધાની સાથે કામ કરવું જોઈએ અને આતંકવાદીઓ અને નાગરિકો વચ્ચે તફાવત કરવો જોઈએ.
તેમણે કહ્યું કે સરકારે ધ્યાનમાં રાખવું જોઈએ કે આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી દરમિયાન નિર્દોષ લોકો, ખાસ કરીને આતંકવાદનો વિરોધ કરનારાઓને કોઈપણ રીતે અસર ન થવી જોઈએ. હુર્રિયત કોન્ફરન્સના અધ્યક્ષ મીરવાઈઝ ઉમર ફારુકે કેન્દ્રને પહેલગામ આતંકી હુમલાના પીડિતો માટે ન્યાય સુનિશ્ચિત કરવા માટે નિર્દોષ કાશ્મીરીઓને સજા ન કરવા હાંકલ કરી હતી.
મીરવાઈઝે ટ્વિટર પર પોસ્ટ કર્યું હતું કે કાશ્મીરીઓ સામૂહિક રીતે પહેલગામમાં જઘન્ય અપરાધની નિંદા કરે છે અને તેના ગુનેગારોને ન્યાયના કઠેડામાં લાવવા તે મહત્વપૂર્ણ છે, પરંતુ અંધાધૂંધ ધરપકડ અને ઘરો તોડી પાડવાના સોશિયલ મીડિયા પર ફરતા વીડિયો ચિંતાજનક અને દુ:ખદ છે. તેમણે કહ્યું કે હું વહીવટીતંત્રને અપીલ કરું છું કે નિર્દોષ પીડિતોને ન્યાય સુનિશ્ચિત કરવાના પ્રયાસમાં તે નિર્દોષ કાશ્મીરી પરિવારોને સજા ન આપે.