Last Updated on by Sampurna Samachar
૮ લાખ હિંદુઓને કેનાડાથી હાંકી કાઢવાની માંગ
આ પ્રદર્શન પંજાબની સ્વતંત્રતા માટે યોજાઇ
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેનેડાના ટોરોન્ટોથી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. જ્યાં હિન્દુ વિરોધી પરેડ કાઢવામાં આવી હતી. આ પરેડ એવા સમયે આયોજિત કરવામાં આવી હતી. જ્યારે માર્ક કાર્ને કેનેડામાં તાજેતરની ચૂંટણી જીતીને ફરીથી PM પદ સંભાળ્યું છે. અગાઉ, જસ્ટિન ટ્રૂડોના કાર્યકાળ દરમિયાન, કેનેડાના ભારત સાથેના સંબંધો સતત તણાવપૂર્ણ રહ્યા હતા, અને હવે આ પરેડથી નવા PM ના નેતૃત્વ પર પણ પ્રશ્નો ઉભા થયા છે.
ખાલિસ્તાન સમર્થક આ કાર્યક્રમમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને વિદેશ પ્રધાન એસ. જયશંકરના પૂતળાઓને પાંજરામાં પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. પરેડમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા કે આ પ્રદર્શન પંજાબની સ્વતંત્રતા માટે છે.
ખાલિસ્તાનીઓ પ્રત્યે ઉદાર વલણ દાખવશે કે કડક વલણ
કેનેડિયન પત્રકાર ડેનિયલ બોર્ડમેને ટોરોન્ટોના માલ્ટન ગુરુદ્વારામાં કથિત “ હિંદુ વિરોધી પરેડ” દર્શાવતો એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોના બહાને, બોર્ડમેને કેનેડાના નવા ચૂંટાયેલા વડા પ્રધાન માર્ક કાર્નીની સરકારને એક પ્રશ્ન પૂછ્યો છે કે શું તેઓ ભૂતપૂર્વ વડા પ્રધાન જસ્ટિન ટ્રૂડોની જેમ ખાલિસ્તાનીઓ પ્રત્યે ઉદાર વલણ દાખવશે કે કડક વલણ અપનાવશે ?
X પર પોસ્ટ શેર કરતા બોર્ડમેને લખ્યું, “આપણા રસ્તાઓ પર આતંક ફેલાવતા જેહાદીઓ આપણા સામાજિક માળખાને નુકસાન પહોંચાડી રહ્યા છે અને ખુલ્લેઆમ યહૂદીઓને ધમકી આપી રહ્યા છે. પરંતુ ખાલિસ્તાનીઓ પણ નફરત ફેલાવવાની આ દોડમાં પાછળ નથી. શું માર્ક કાર્નીનું કેનેડા જસ્ટિન ટ્રૂડોના કેનેડાથી અલગ હશે ? ”
બોર્ડમેને આ નિવેદન સીન બિંદા નામના અન્ય એક યુઝરની પોસ્ટના જવાબમાં આપ્યું હતું, જેમાં બિંદાએ દાવો કર્યો હતો કે માલ્ટન ગુરુદ્વારામાં ખાલિસ્તાની જૂથે કેનેડામાં રહેતા ૮ લાખ હિન્દુઓને ભારતમાં દેશનિકાલ કરવાની માંગ કરી હતી. તેમણે તેને ખાલિસ્તાની આતંકવાદીઓનો “ખુલ્લો હિન્દુ વિરોધી દ્વેષ” ગણાવ્યો.
બિંદાએ પોતાની પોસ્ટમાં લખ્યું, “માલ્ટન ગુરુદ્વારા (ટોરોન્ટો) ખાતે, કે-ગેંગે ૮ લાખ હિન્દુઓને ભારત મોકલવાની માંગ કરી. આ હિન્દુઓ ત્રિનિદાદ, ગુયાના, સુરીનામ, જમૈકા, દક્ષિણ આફ્રિકા, નેધરલેન્ડ, મલેશિયા, શ્રીલંકા, સિંગાપોર, કેન્યા અને અન્ય ઘણા દેશોમાં સ્થાયી થયા છે. આ ભારત સરકાર સામે વિરોધ નથી, આ સ્પષ્ટપણે હિન્દુઓ સામે નફરત છે.”
આ વિવાદાસ્પદ પરેડ એવા સમયે આવી છે જ્યારે માર્ક કાર્ની અને તેમની લિબરલ પાર્ટીએ તાજેતરની કેનેડિયન સામાન્ય ચૂંટણી જીતી છે. જસ્ટિન ટ્રૂડોના રાજીનામા બાદ કાર્નેને વડા પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. એવું માનવામાં આવે છે કે પાર્ટીમાં વિશ્વાસના અભાવને કારણે ટ્રૂડોને પદ છોડવું પડ્યું.
આ પહેલી વાર નથી જ્યારે બોર્ડમેને ખાલિસ્તાની પ્રવૃત્તિઓ પર પ્રશ્નો ઉઠાવ્યા હોય. એપ્રિલમાં, તેમણે આરોપ લગાવ્યો હતો કે બ્રિટિશ કોલંબિયાના સરેમાં લક્ષ્મી નારાયણ મંદિરને ત્રીજી વખત નિશાન બનાવવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે મંદિરની દિવાલો પર ખાલિસ્તાન તરફી નારા લખેલા હતા અને સુરક્ષા કેમેરો પણ ચોરાઈ ગયો હતો.