Last Updated on by Sampurna Samachar
ભારત-પાકિસ્તાન સરહદના ૧૦ કિમીના દાયરામાં મુસાફરી ન કરવી
ભારતે પાકિસ્તાન સાથે રાજદ્વારી સંબંધો ઘટાડવાની જાહેરાત કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઈસ્લામિક આતંકીઓ દ્વારા જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં કરવામાં આવેલા અમાનવીય હુમલા બાદ ભારત સહિત દુનિયાભરના દેશોએ જેહાદીઓ પ્રત્યે ધિક્કાર વરસાવી રહ્યા છે એટલું જ નહીં પરંતુ લોકો હવે જમ્મુ-કાશ્મીર જવાનું પણ ટાળી રહ્યા છે.
મળતા અહેવાલ પ્રમાણ છેલ્લા ૨૪ કલાકમાં સમગ્ર ભારતમાંથી ૯૦ ટકા પ્રવાસીઓએ તેમના કાશ્મીર પ્રવાસનાં બુકિંગ રદ્દ કરી દીધાં છે. તો બીજી તરફ અમેરિકા સહિત વિશ્વના દેશો તેમના નાગરિકોને હમણાં કાશ્મીર નહીં જવા સલાહ આપી રહ્યા છે.
આ વિસ્તારમાં છૂટાછવાયા રૂપે હિંસા થાય છે
અમેરિકાએ પણ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પોતાના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી છે. અમેરિકા દ્વારા જારી કરાયેલી ટ્રાવેલ એડવાઈઝરીમાં નાગરિકોને કહેવામાં આવ્યું છે કે તેઓ ભારત-પાકિસ્તાન સરહદના ૧૦ કિલોમીટરના દાયરામાં મુસાફરી ન કરે તેમ અમેરિકી નાગરિકો માટે એડવાઇઝરી જાહેર કરાઇ છે.
અમેરિકાના વિદેશ વિભાગ દ્વારા જારી કરાયેલી એડવાઈઝરીમાં જણાવાયું છે, “ જમ્મુ-કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશમાં આતંકવાદી હુમલા અને હિંસક અશાંતિ શક્ય છે. આ રાજ્યની મુસાફરી ન કરો (પૂર્વ લદ્દાખ વિસ્તાર અને તેની રાજધાની લેહની મુસાફરી સિવાય). આ વિસ્તારમાં છૂટાછવાયા રૂપે હિંસા થાય છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની નિયંત્રણ રેખા (LOC) પર આ સામાન્ય બાબત છે. હિંસા કાશ્મીર ખીણના પ્રવાસન સ્થળો: શ્રીનગર, ગુલમર્ગ અને પહેલગામમાં પણ થાય છે.”
સશસ્ત્ર સંઘર્ષની આશંકા વધી છે ટ્રાવેલ એડવાઈઝરીમાં અમેરિકી વિદેશ વિભાગે પોતાના નાગરિકોને ભારત-પાકિસ્તાન સરહદના ૧૦ કિલોમીટરના વિસ્તારમાં જવાથી પણ બચવા જણાવ્યું છે, કારણ કે અહીં સશસ્ત્ર સંઘર્ષની આશંકા વધી ગઈ છે.
આ અગાઉ પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં ભારતે ૧૯૬૦ ની સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી છે. ભારતે પાકિસ્તાન સાથે રાજદ્વારી સંબંધો ઘટાડવાની પણ જાહેરાત કરી છે. આ પહેલાં આતંકવાદીઓએ કાશ્મીરના પહેલગામમાં ગોળીબાર કર્યો હતો, જેમાં ૨૬ લોકો માર્યા ગયા હતા. આ ૨૦૧૯માં પુલવામા હુમલા બાદ ખીણમાં સૌથી ઘાતક હુમલો હતો.