Last Updated on by Sampurna Samachar
વર્ષ ૨૦૦૩ થી અત્યારસુધી નેપાળમાં ૧૩ વખત સરકારો બદલાઇ ચુકી
પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે થયુ ઘર્ષણ
(સંપૂર્ણ સમાચાર સેવા)
નેપાળમાં પૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહના સમર્થકો દ્વારા ફરી એકવાર વિરોધના સુર ઉઠ્યા છે. જેમાં દેશને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવા તેમજ રાજાના હાથમાં સોંપવાની માંગ સાથે સમર્થકો રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. રાજાશાહીના રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટીના હજારો નેતાઓ અને કાર્યકર્તાઓ વડાપ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન અને સંસદ ભવન પહોંચ્યા હતા, જ્યાં તેમણે દેખાવો સાથે રેલી કાઢી હતી.
સમર્થકો દેશને રાજાશાહીના હાથમાં સોંપવા તેમજ દેશને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની માંગ કરી રહ્યા છે. RPP પાર્ટીના અધ્યક્ષના નેતૃત્વ હેઠળ યોજાયેલા દેખાવોમાં લગભગ ૧૫૦૦ દેખાવકારો બિજુલીબાજાર-બાનેશ્વર વિસ્તારમાં એકત્ર થયા હતા અને ‘ગણતંત્ર વ્યવસ્થા મુર્દાબાદ, અમને રાજાશાહી પાછી જોઈએ, ભ્રષ્ટ સરકાર મુર્દાબાદ, નેપાળને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરો, જેવા સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા.
અનેક ઘર, ઈમારતો અને દુકાનોને આગ ચાંપી
પાર્ટીના અધ્યક્ષ રાજેન્દ્ર, વરિષ્ઠ નેતા પશુપતિ શમશેર રાણા અને પૂર્વ પોલીસ મહાનિરીક્ષક ધ્રુબ બહાદુર પ્રધાન સહિત અન્ય લોકોએ પણ દેખાવો અને રેલીઓમાં જોડાયા હતા. દેખાવકારોએ ચીમકી આપી છે કે, તેઓ સરકારના આદેશની અવગણના કરશે અને પ્રતિબંધિત વિસ્તારોમાં પ્રવેશ કરશે.
આ પહેલા ૨૮ માર્ચ કાઠમાંડૂના તિનકૂને વિસ્તારમાં રાજાશાહી સમર્થક રેલી શરૂ થઈ હતી. આ રેલી સંસદ ભવન નજીક પહોંચવાનો પ્રયાસ કરી રહી હતી. ૨૦૦૮માં સમાપ્ત કરવામાં આવેલા રાજતંત્રને ફરીથી લાગુ કરવાની માગ સાથે નીકળેલી આ રેલી અચાનક હિંસક બની હતી. જ્યારે સમર્થકોએ અનેક ઘર, ઈમારતો અને દુકાનોને આગ ચાંપી હતી. આ દરમિયાન હજારો લોકોએ દેખાવો કર્યા હતા. જેમને રોકવા માટે નેપાળ સરકાર પોલીસ અને સેનાનો બળ પ્રયોગ કર્યો હતો. જેના કારણે દેશના અનેક વિસ્તારોમાં સુરક્ષાદળો અને પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસા ફાટી નીકળી હતી.
પ્રદર્શનકારીઓએ અનેક વાહનોને આગ લગાવી દીધી હતી. ટોળાને વિખેરવા માટે પોલીસે આંસુ ગેસનો મારો ચલાવ્યો હતો સાથે જ રબરની ગોળીઓ ચલાવી હતી. આ ઘર્ષણમાં બેનાં મોત જ્યારે ૩૦ને ઇજા થઈ હતી. હજારો પ્રદર્શનકારીઓએ નેપાળનો રાષ્ટ્રીય ધ્વજ લહેરાવીને પૂર્વ રાજા ગ્યાનેંદ્ર શાહની તસવીર સાથે સાથે રાજા આવો દેશ બચાવો, ભ્રષ્ટ સરકાર મુર્દાબાદ, હમે રાજાશાહી વાપસ ચાહીએ જેવા નારા લગાવ્યા હતા.
સ્થિતિને ધ્યાનમાં રાખીને હાલ હિંસા ભડકાવનારા અનેક લોકોની અટકાયત કરાઇ હતી, જ્યારે કરફ્યૂના ઉલ્લંઘન બદલ અનેક યુવાઓની ધરપકડ પણ કરાઇ હતી. વર્ષ ૨૦૦૮માં નેપાળ સરકારે સંસદમાં કાયદો પસાર કરીને રાજાશાહીને ખતમ કરી નાખી હતી. જેને પગલે નેપાળ ભારતની જેમ એક લોકશાહી શાસનવાળો દેશ બની ગયો હતો. એવામાં હવે હાલની સરકારના ભ્રષ્ટાચાર અને નપળા શાસનને કારણે ફરી રાજાશાહીની માંગણી તિવ્ર બની છે.
નેપાળમાં વર્ષ ૨૦૦૮ થી અત્યાર સુધી ૧૩ વખત સરકારો બદલાઇ ચુકી છે, વારંવાર સરકારો બદલાવી અને ભ્રષ્ટાચાર, નબળી આર્થિક સ્થિતિ, બેરોજગારી, ગરીબી આ બધી બાબતોને કારણે જનતાનો લોકશાહી પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે અને તેથી રાજાશાહીની માંગણી સાથે વિરોધ પ્રદર્શન હવે હિંસક સ્વરુપ લઇ ચુક્યું છે.