Last Updated on by Sampurna Samachar
અનેક માર્ગો અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવ્યા
નજીકની વસાહતો, હાઇવે અને ગામડાઓને સીલ કરાયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
પાકિસ્તાન (PAKISTHAN) ના કરાંચીમાં આવેલી માલીર જિલ્લા જેલમાંથી કુલ ૨૧૬ કેદીઓ ભાગી ગયા હોવાની માહિતી પ્રકાશમાં આવી છે. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસ અને જેલ અધિકારીઓએ જણાવ્યું હતું કે શહેરમાં સતત હળવા ભૂકંપના આંચકાને કારણે થયેલી અંધાધૂંધી વચ્ચે કેદીઓ ભાગી ગયા હતા. ઘણા કેદીઓ પહેલાથી જ તેમની બેરેકની બહાર હતા, તેમણે આ અંધાધૂંધીનો લાભ ઉઠાવ્યો અને જેલ સ્ટાફ પર દબાણ કર્યું. આ પછી હિંસક અથડામણ સર્જાઈ હતી.
જેલ પરિસરની અંદર અને આસપાસ ભારે ગોળીબારના અહેવાલ મળ્યા હતા, જેના કારણે નજીકના રહેણાંક વિસ્તારોમાં ગભરાટ ફેલાયો હતો. પોલીસ અને રેન્જર્સે આ વિસ્તારને ઘેરી લીધો હોવાથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ સહિત અનેક માર્ગો અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવ્યા હતા.
જેલ ‘યુદ્ધક્ષેત્ર’માં ફેરવાઈ ગઈ
પોલીસ અને અર્ધલશ્કરી દળોની મોટી ટુકડી થોડીવારમાં જેલમાં પહોંચી ગઈ હતી અને નજીકની વસાહતો, હાઇવે અને ગામડાઓને સીલ કરી દીધા હતા. માલિરની મસ્જિદોમાંથી જાહેરાતો કરવામાં આવી હતી, જેમાં ભાગી ગયેલા કેદીઓને પકડવામાં જાહેર સહયોગની અપીલ કરવામાં આવી હતી.” DIG જેલ હસન સાહેતુ અને ડાયરેક્ટર જનરલ રેન્જર્સ સિંધ મેજર જનરલ મુહમ્મદ શમરેઝે પણ જેલની મુલાકાત લીધી હતી અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.
અહેવાલ મુજબ, ભૂકંપ આવ્યો ત્યારે જેલની આંતરિક પ્રક્રિયાઓને કારણે સર્કલ નંબર ૪ અને ૫ ના ૬૦૦ થી વધુ કેદીઓ તેમના બેરેકની બહાર બેઠા હતા. ત્યારબાદ થયેલી અંધાધૂંધી ટૂંક સમયમાં રમખાણો જેવી પરિસ્થિતિનું કારણ બની, અધિકારીઓના મતે જેલ ‘યુદ્ધક્ષેત્ર’માં ફેરવાઈ ગઈ.
નિયંત્રણ મેળવવાના પ્રયાસમાં, જેલ અધિકારીઓએ ગોળીબાર કર્યો. એન્કાઉન્ટર દરમિયાન, બે ફ્રન્ટિયર કોર્પ્સ (એફસી) કર્મચારીઓ સહિત ઓછામાં ઓછા પાંચ સુરક્ષા કર્મચારીઓ ઘાયલ થયા હતા. એક કેદીનું મોત થયું હતું અને ત્રણ અન્ય ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર માટે જિન્ના પોસ્ટગ્રેજ્યુએટ મેડિકલ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. સિંધના ગૃહમંત્રી ઝિયા-ઉલ-હસન લંજરે જેલની કોઈપણ દિવાલમાં ઘૂસણખોરી થઈ હોવાનો ઇનકાર કર્યો હતો.