Last Updated on by Sampurna Samachar
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થશે તો ઈંગ્લેન્ડ જતા રહેશે
ભારત અને પાકિસ્તાન વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલુ
(સંપૂર્ણ સમાચાર સેવા)
પહેલગામમાં ૨૨ એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી રહ્યો છે. ધીમે-ધીમે યુદ્ધનું વાતાવરણ બની ગયું છે. આ ઘટના બાદ ભારતે પાકિસ્તાન (PAKISTHAN) સામે કડક કાર્યવાહી કરી છે.
જેમાં ભારતે સિંધુ જળ સંધિ રદ કરી દીધી છે. પાકિસ્તાનથી થતી આયાત પર પ્રતિબંધ મૂક્યો અને પાકિસ્તાની ધ્વજવાળા જહાજોને ભારતીય બંદરોમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂક્યો છે. હવે બંન્ને દેશો વચ્ચે યુદ્ધ થશે કે કેમ તેનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. આ સંદર્ભમાં પાકિસ્તાનના સાંસદ અને રાષ્ટ્રીય સભાના સભ્ય શેર અફઝલ ખાન મારવાતે આ અંગે એક મોટી ભવિષ્યવાણી કરી દીધી છે.
PM મોદી પાછળ હટવાના નથી
પાકિસ્તાની સાંસદ શેર અફઝલ ખાન મારવાતે કહ્યું કે, જો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય છે, તો તેઓ ઈંગ્લેન્ડ જતા રહેશે. તેમણે પોતાની શૈલીમાં એમ પણ કહી દીધું કે, ભારતના PM મોદી પાછળ હટવાના નથી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, શું તેઓ બંન્ને દેશો વચ્ચેના તણાવને ઘટાડવા માટે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંયમ રાખવાની સલાહ આપશે, તો શું તેઓ સંમત થશે? આના પર મારવાતે પ્રશ્ન પૂછનાર વ્યક્તિની મજાક ઉડાવી.
તેમણે કહ્યું કે, શું મોદીજી મારા કહેવા પર પાછા હટી જશે? હવે તેમનું નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે અને ઘણા લોકો ટોણા મારી રહ્યા છે કે, પાકિસ્તાની નેતાઓને તેમની સેના પર વિશ્વાસ નથી.
કેટલાક લોકો તો એવું પણ કહી રહ્યા છે કે, પાકિસ્તાની સાંસદના મોઢેથી સત્ય નીકળી ગયું છે. ત્યાંનો દરેક નેતા હારના ડરથી ભાગી જશે. તેઓ ભારતીય સેના સામે ટકી શકશે નહીં. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર મારવાત પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ પાર્ટી સાથે સંકળાયેલા હતા, પરંતુ થોડા સમય પહેલા તેમને પાર્ટીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા.
હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. એ વાત સાચી છે કે પાકિસ્તાન ખૂબ જ ગભરાયેલું છે અને ભારત સરકાર આ મામલાને ગંભીરતાથી લઈ રહી છે. અહીં પાકિસ્તાની સેનાએ જમ્મુ-કાશ્મીરના ઘણા વિસ્તારોમાં સતત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. આ બધા વચ્ચે સૌથી મોટો પ્રશ્ન એ છે કે, હવે શું થવાનું છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે શબ્દયુદ્ધ ચાલુ છે. જેમાં પાકિસ્તાન વધુ ઉશ્કેરણી કરી રહ્યું છે. આખી દુનિયા જાણે છે કે, ભારત એક જવાબદાર દેશ છે. તે આતંકવાદી હુમલાના ગુનેગારોને ચોક્કસ પાઠ ભણાવશે, પરંતુ માનવતાનું ઉલ્લંઘન નહીં કરે. જ્યાં સુધી આવી ભવિષ્યવાણીનો સવાલ છે, તે બધું ભારતીય સેના અને સરકાર પર ર્નિભર કરે છે કે તેઓ શું કાર્યવાહી કરવા જઈ રહ્યા છે.