Last Updated on by Sampurna Samachar
ખ્રિસ્તી સંપ્રદાયના સર્વોચ્ચ ધર્મગુરુ પોપ ફ્રાન્સિસ
વેટિકન સિટીમાં ૯ દિવસના શોકની ઘોષણા કરાઇ
(સંપૂર્ણ સમાચાર સેવ)
કૅથલિક ખ્રિસ્તી ધર્મગુરુ પોપ ફ્રાન્સિસનું ૮૮ વર્ષની વયે ઇટાલીના વેટિકન સિટીમાં અવસાન થયું છે. વેટિકન સિટી તરફથી નિવેદન જારી કરીને કાર્ડિનલ કેવિન ફેરેલે તેમના નિધનની જાણકારી આપવામાં આવી હતી. પોપના નિધનને કારણે વેટિકન સિટીમાં ૯ દિવસના શોકની ઘોષણા કરવામાં આવી છે. આ સમાચારથી વિશ્વભરના ૧.૪ અબજ કૅથલિક ખ્રિસ્તીઓ શોકમાં ડૂબી ગયા છે.
કૅથલિક ચર્ચના મુખ્ય મથક વેટિકન દ્વારા જણાવ્યા મુજબ, ૮૮ વર્ષીય પોપ ફ્રાન્સિસને ૧૪ ફેબ્રુઆરીએ ડબલ ન્યુમોનિયાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને ન્યુમોનિયા ઉપરાંત ફેફસાનો ચેપ પણ થયો હતો. તેઓ ૫ અઠવાડિયા સુધી હોસ્પિટલમાં રહ્યા. તેમના બ્લડ ટેસ્ટ રિપોર્ટમાં કિડની ફેલ થવાનાં લક્ષણો જોવા મળ્યા હતા અને પ્લેટલેટ્સ પણ ઓછા હતા. તેમને બ્રોન્કાઇટિસ રોગ પણ થયો હતો. ઇસ્ટરના અવસરે, ૨૦ એપ્રિલે તેમણે તેમનો છેલ્લો સંદેશ આપ્યો હતો.
કૅથલિક ધર્મગુરુ બનનાર પ્રથમ ગૈર-યુરોપીય પાદરી
પોપ ફ્રાન્સિસ રોમન કૅથલિક ચર્ચના પ્રથમ લૅટિન અમેરિકન મૂળના પોપ હતા. ૨૦૧૩માં તેઓ કૅથલિક ખ્રિસ્તીઓની હાજરીમાં રોમન કૅથલિક ચર્ચના ૨૬૬મા પોપ બન્યા હતા. તેઓ પોપ બેનિડિક્ટ ૧૬ના ઉત્તરાધિકારી હતા. અજેર્ન્ટિનાના વતની પોપ ફ્રાન્સિસ વિશ્વભરમાં યુદ્ધવિરોધી વલણ માટે જાણીતા હતા. છેલ્લા ૧૦૦૦ વર્ષમાં તેઓ કૅથલિક ધર્મગુરુ બનનાર પ્રથમ ગૈર-યુરોપીય પાદરી હતા.
પોપ ફ્રાન્સિસનો જન્મ ૧૭ ડિસેમ્બર ૧૯૩૬ના રોજ અજેર્ન્ટિનાના ફ્લોરેન્સ શહેરમાં થયો હતો. તેમનું અસલ નામ જોર્જ મારિયો બગોર્ગ્લિયો હતું. તેમના દાદા-દાદી તાનાશાહ બેનિટો મુસોલિનીથી પોતાનો જીવ બચાવવા ઇટાલી છોડીને અજેર્ન્ટિના ગયા હતા. પોપનું બાળપણ અજેર્ન્ટિનાની રાજધાની બ્યુનસ ઍરેસમાં વીત્યું હતું. તેઓ સોસાયટી ઑફ જીસસ (જેસુઇટ્સ)ના સભ્ય બનનાર પ્રથમ પોપ હતા અને અમેરિકી ખંડમાંથી આવનાર પ્રથમ પોપ હતા.
તેમણે બ્યુનસ ઍરેસ યુનિવર્સિટીમાંથી ફિલોસોફી અને ધર્મશાસ્ત્રમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હતું. ૩૩ વર્ષની વયે, ૧૩ ડિસેમ્બર ૧૯૬૯ના રોજ, તેઓ બ્યુનસ ઍરેસમાં પ્રથમ વખત પાદરી બન્યા હતા.
૧૯૯૮માં તેઓ બ્યુનસ ઍરેસના આર્કબિશપ બન્યા હતા. ૨૦૦૧માં પોપ જોન પોલ બીજાએ તેમને કાર્ડિનલ બનાવ્યા હતા. પાદરી બનતા પહેલા પોપ ફ્રાન્સિસ નાઇટ ક્લબમાં બાઉન્સર તરીકે કામ કરતા હતા. તેમણે કેમિસ્ટ ટેકનિશિયન તરીકે પણ કામ કર્યું હતું અને અજેર્ન્ટિનાની કૉલેજમાં સાહિત્ય અને મનોવિજ્ઞાન પણ ભણાવ્યું હતું. પોપ તરીકેના કાર્યકાળ દરમિયાન તેમણે વિશ્વભરના ૬૦ થી વધુ દેશોની મુલાકાત લીધી હતી.