Last Updated on by Sampurna Samachar
ભારતના આકરા વલણથી પાકિસ્તાનમાં ફફડાટ ફેલાયો
પહેલગામ હુમલાની જવાબદારી TRF દ્વારા લેવામાં આવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
પહલગામ આતંકી હુમલાને લઇ એક તરફ, પાકિસ્તાને ઔપચારિક રીતે આ હુમલાની નિંદા કરે છે તો બીજી તરફ, તેના વિદેશ પ્રધાન અને નાયબ વડાપ્રધાન ઇશાક ડારે હુમલાખોરોને સ્વતંત્રતા સેનાનીઓ તરીકે સંબોધ્યા છે. જેને લઇને આ હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરી છે.
ભારતે પાકિસ્તાન સામે કાર્યવાહી કરી જેમાંનો સૌથી મોટો ર્નિણય ૧૯૬૦ ની સિંધુ જળ સંધિને સ્થગિત કરવાનો હતો, જે ભારતે આતંકવાદ સામે ઇસ્લામાબાદની ઢીલી નીતિના જવાબમાં લીધો હતો. આ સાથે, ભારતે પાકિસ્તાની નાગરિકોને આપવામાં આવેલા તમામ વિઝા રદ કર્યા અને અટારી સરહદ બંધ કરવાની પણ જાહેરાત કરી છે.
ભારતના ર્નિણયને યુદ્ધનું કૃત્ય ગણાવ્યું
જે અંગે પાકિસ્તાન સરકારે પ્રતિક્રિયા આપી. નાણામંત્રી ઇશાક ડારે કહ્યું, “૨૪ કરોડ પાકિસ્તાની નાગરિકોને પાણીની જરૂર છે. ભારત આ કરી શકતું નથી. આને સીધું યુદ્ધ ગણવામાં આવશે. પાકિસ્તાનની રાષ્ટ્રીય સુરક્ષા સમિતિ (NSC ) એ પણ ભારતના ર્નિણયને યુદ્ધનું કૃત્ય ગણાવ્યું છે. નોંધનિય છે કે, ભારતના આકરા વલણથી પાકિસ્તાનમાં ફફડાટ ફેલાયો છે. જે બાદ તેના મંત્રીએ વિવાદાસ્પદ નિવેદનો કરવા લાગ્યા છે.
પહેલગામ હુમલાની જવાબદારી TRF દ્વારા લેવામાં આવી છે, જે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનો મોરો હોવાનું કહેવાય છે. આ એ જ સંગઠન છે જેને ISI નું સમર્થન છે. તેમ છતાં, પાકિસ્તાન આતંકવાદીઓને પોતાનાથી અલગ બતાવીને પોતાની જવાબદારીથી છટકી જવાનો પ્રયાસ કરે છે. આતંકવાદ સામેની લડાઈના નામે વિશ્વભરમાં સમર્થન મેળવવાનો પ્રયાસ કરી રહેલા પાકિસ્તાનનો ખુલાસો તેના નેતાના “સ્વતંત્રતા સેનાનીઓ” ના નિવેદનથી થયો છે.
પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા મોહમ્મદ આસિફે પણ ભારતને ધમકી આપી હતી. તેમણે કહ્યું, “જો ભારત અમારા નાગરિકોને નુકસાન પહોંચાડે છે, તો ભારતીય નાગરિકો પણ સુરક્ષિત રહેશે નહીં. તે જેવા સાથે તેવાની નીતિ અપનાવશે.” આ નિવેદન ભારત દ્વારા લેવામાં આવેલા રાજદ્વારી અને રાજકીય ર્નિણયોના પ્રતિભાવમાં આવ્યું છે, જેમાં પાકિસ્તાની હાઇ કમિશનના અધિકારીઓને હાંકી કાઢવા, દૂતાવાસના કર્મચારીઓની સંખ્યા ઘટાડવા અને અલગ દ્વિપક્ષીય વાતચીત મર્યાદિત કરવાનો સમાવેશ થાય છે.