Last Updated on by Sampurna Samachar
હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા કરાશે નિર્માણ
હેલિકોપ્ટરોનો વપરાશ બંધ કરી દેવાયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ALH અનેક પ્રકારની લશ્કરી કામગીરી નિભાવે છે. દુર્ગમ સ્થળોએ જ્યાં ભારેખમ વિમાનો ન પહોંચી શકતા હોય એવા સ્થળોએ પહોંચવા માટે ALH નો ઉપયોગ થતો હોય છે. ચીજવસ્તુઓ પહોંચાડવા માટે તથા રેસ્ક્યુ મિશનો પાર પાડવા માટે ALH નો ઉપયોગ થાય છે. તે જાસૂસી મિશનો પણ પાર પાડે છે. જરૂર પડ્યે તે કોમ્બેટ (યુદ્ધ) માટે પણ વાપરી શકાય એવા હોય છે. ભારતમાં ALH નું નિર્માણ ‘હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ’ દ્વારા કરવામાં આવે છે.
ભારતીય સશસ્ત્ર દળો પાસે ૩૫૦ નંગ ‘ચેતક’ અને ‘ચિત્તા’ હેલિકોપ્ટર છે, પણ અનુક્રમે ૧૯૬૦ અને ૧૯૭૦ના દાયકાથી વપરાતા આવેલા એ હેલિકોપ્ટર ખાસ્સા જૂના છે, સિંગલ-એન્જિન છે અને વારંવાર ક્રેશ થઈ જાય છે. તેથી તેમની કમી પૂરી કરવા માટે ૨૦૦૨ માં ‘ધ્રુવ‘ના આધુનિક અવતારને સૈન્ય દળોમાં સામેલ કરવામાં આવ્યો હતો. ડબલ એન્જિન ધરાવતું હોવાથી ‘ધ્રુવ’ વધારે કાર્યક્ષમ અને ભરોસેમંદ ગણાય છે, પણ ભારતીય સેના, વાયુસેના, નૌકાદળ અને કોસ્ટ ગાર્ડની કરોડરજ્જુ માનવામાં આવતું આ હેલિકોપ્ટર પણ ક્રેશ થવા માંડતા તેનો વપરાશ બંધ કરવો પડ્યો છે.
બે પાઈલટ અને એક એરક્રૂ ડાઈવરનું મોત
૫ જાન્યુઆરી, ૨૦૨૫ ના રોજ ગુજરાતના પોરબંદરમાં કોસ્ટ ગાર્ડનું ‘ધ્રુવ‘ હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ ‘ધ્રુવ‘નો વપરાશ બંધ કરી દેવાયો છે. એ અકસ્માતમાં બે પાઈલટ અને એક એરક્રૂ ડાઈવરનું મોત નીપજ્યું હતું. ત્યારથી ધ્રુવ સહિતના બધા ALH હેલિકોપ્ટર ગ્રાઉન્ડેડ છે.
તપાસમાં જાણવા મળ્યું કે ક્રેશ થયેલા હેલિકોપ્ટરમાં ‘સ્વેશપ્લેટ ફ્રેક્ચર‘ હતું, જેના કારણે પાઈલટે કાબુ ગુમાવ્યો હતો. દુર્ઘટના બાદ તપાસ કરતાં અન્ય ALH હેલિકોપ્ટરમાં પણ આવું ફેઈલ્યોર થવાના સંકેતો મળી આવ્યા હતા, જેને લીધે હેલિકોપ્ટરોનો વપરાશ બંધ કરી દેવાયો છે.
‘સ્વેશપ્લેટ’ એટલે હેલિકોપ્ટરનું ‘સ્ટીયરિંગ વ્હીલ‘, જે પાઈલટના કંટ્રોલ ઈનપુટ્સને રોટર બ્લેડ સાથે જાેડે છે અને એને હિસાબે હેલિકોપ્ટરની દિશા નક્કી થાય છે. એમાં બે પ્લેટ હોય છે, એક સ્થિર અને બીજી ફરતી. ‘સ્વેશપ્લેટ’ના કન્ટ્રોલમાં સર્જાયેલી ખામીને ‘સ્વેશપ્લેટ ફ્રેક્ચર‘ કહેવામાં આવે છે.
HAL હજુ સુધી આ ખામીનું કારણ સમજી શક્યું નથી. સમસ્યાના નિવારણ માટે બેંગલુરુ ખાતે આવેલી ‘ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ’ (IISC) ની મદદ માંગવામાં આવી છે. એપ્રિલ મહિનાના અંત સુધીમાં એનો રિપોર્ટ આવી જવાની શક્યતા છે. એ પછી સમસ્યાનું નિવારણ કરવાના પગલાં લેવાશે એટલે AHL ગગનગામી થવામાં ઓછામાં ઓછા ત્રણ મહિનાનો સમય લાગી શકે એમ છે.
ચીન અને પાકિસ્તાનની સરહદો પરના વિસ્તારોમાં નજર રાખવા માટે AHL બહુ ઉપયોગ થતો હતો એટલે છેલ્લા ત્રણ મહિનાથી AHL અભાવે સરહદો લગભગ રેઢી પડી છે, એમ કહી શકાય. સૈન્ય દળોના ગુપ્ત મિશનો પણ ટલ્લે ચડ્યાં છે. પાઈલટોની ટ્રેનિંગમાં પણ અવરોધ ઊભા થયા છે. અસલી હેલિકોપ્ટર ઉડાડવાને બદલે તેઓ ફક્ત સિમ્યુલેટર પર જ પ્રેક્ટિસ કરી રહ્યા છે.
૧૧.૫ લાખ સૈનિકો ધરાવતી થળ સેના (આર્મી) પાસે ધ્રુવ હેલિકોપ્ટર સહિત ૧૮૦ નંગ છન્ૐ છે, જેમાં ૬૦ નંગ સશસ્ત્ર ‘રુદ્ર‘ હેલિકોપ્ટરનો પણ સમાવેશ થાય છે. વાયુસેના પાસે ૭૫, નૌકાદળ પાસે ૨૪ અને કોસ્ટ ગાર્ડ પાસે ૧૯ છન્ૐ છે. સાડા પાંચ ટન વજનના ધ્રુવ હેલિકોપ્ટર ૨૦૦૨ થી સૈન્ય દળોમાં સામેલ કરવામાં આવ્યા છે. વર્ષ ૨૦૨૩-૨૪માં આ હેલિકોપ્ટરે કુલ ૪૦,૦૦૦ કલાકની ઉડાન ભરી હતી.
આમ પણ ભારતીય સૈન્ય દળો પાસે હોવા જોઈએ એના કરતાં ઓછા જ હેલિકોપ્ટર હતાં એમાં ALH ના ગ્રાઉન્ડિંગથી સ્થિતિ સર્જાતાં પડ્યા પર પાટું જેવી મુસીબત ઊભી થઈ છે. સશસ્ત્ર દળોએ આગામી ૧૦-૧૫ વર્ષમાં વિવિધ વર્ગોના ૧,૦૦૦ થી વધુ નવા હેલિકોપ્ટરની જરૂરિયાત વ્યક્ત કરી છે. એમાં ૪૮૪ લાઈટ યુટિલિટી હેલિકોપ્ટર અને ૪૧૯ મલ્ટી-રોલ હેલિકોપ્ટરનો સમાવેશ થાય છે.
પરંતુ AHL દ્વારા આટલી મોટી માત્રામાં હેલિકોપ્ટર બનાવવાના પ્રોજેક્ટ્સમાં સતત વિલંબ થઈ રહ્યો છે. ગયા મહિને AHL સાથે ૬૨,૭૦૦ કરોડ રૂપિયાનો સોદો થયો છે, જે અંતર્ગત ભારતીય સૈન્ય દળોને વર્ષ ૨૦૨૮ થી ૨૦૩૩ ની વચ્ચે ૧૫૬ ‘પ્રચંડ‘LCH (લાઈટ કોમ્બેટ હેલિકોપ્ટર – હળવા લડાયક હેલિકોપ્ટર) પૂરા પાડવામાં આવશે.
AHL ની ગેરહાજરીમાં સૈન્ય દળોએ વૈકલ્પિક વ્યવસ્થા તરીકે ‘સિવિલ ચોપર્સ’ એટલે કે ‘નાગરિક હેલિકોપ્ટર’ ભાડે રાખ્યા છે. ઉત્તર અને મધ્ય કમાન્ડે નવેમ્બર ૨૦૨૪ થી આમ કરવાનું શરૂ કરી દીધું હતું.