Last Updated on by Sampurna Samachar
કોંગ્રેસે બિલ્ડરો અને તંત્ર સામે કડક વલણ અપનાવ્યું
બિલ્ડરો દ્વારા અસરગ્રસ્ત પરિવારો પર દબાણ
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરતમાં ડિમોલિશન વિવાદને લઈને સ્થાનિક રાજકીય માહોલ ગરમાયો છે. આ મામલે હવે કોંગ્રેસે મેદાનમાં આવીને બિલ્ડરો સામે મોરચો ખોલ્યો છે અને અસરગ્રસ્તોને ડરાવી-ધમકાવીને દબાણ વશ કરવાના ગંભીર આક્ષેપો કર્યા છે.

કોંગ્રેસે અસલમ સાયકલ વાલા હે આક્ષેપ કર્યો છે કે બિલ્ડરો દ્વારા અસરગ્રસ્ત પરિવારો પર સમાધાન કરવા માટે સામ-દામ-દંડ-ભેદની નીતિ અપનાવવામાં આવી રહી છે. વિવાદને વહેલી તકે દબાવી દેવા માટે પડદા પાછળ સંપર્ક અભિયાન તેજ કરી દેવાયું છે.
સ્થાનિકોમાં રોષ અને અસમંજસની સ્થિતિ
અસરગ્રસ્ત પરિવારોને એકસાથે બેસાડીને “મકાનો સ્વૈચ્છિક રીતે તોડવામાં આવ્યા હતા” તેવું નિવેદન આપવા માટે સમજાવટ અને માનસિક દબાણ કરવામાં આવી રહ્યું છે. અસરગ્રસ્તો પાસેથી સ્વૈચ્છિક રીતે મકાનો હટાવ્યાની સહમતિ મેળવવા માટે તેમને વૈકલ્પિક રહેઠાણ, આર્થિક સહાય અને અન્ય સુવિધાઓ આપવાની ખાતરીઓ આપવામાં આવી રહી છે.
આ સમગ્ર વિવાદ વચ્ચે એક તરફ એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે અસરગ્રસ્તો માટે પુનર્વસન અને વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. જોકે, આ મામલે હજુ પણ સૌથી મોટો સવાલ યથાવત્ છે.
નાસીરનગરમાં આ ડિમોલિશનની કાર્યવાહી આખરે કોના દ્વારા અને કયા કાનૂની આધારે કરવામાં આવી હતી? તંત્ર કે જવાબદારો દ્વારા આ મુદ્દે હજુ સુધી કોઈ સત્તાવાર અને સ્પષ્ટ ખુલાસો સામે આવ્યો નથી, જેને કારણે સ્થાનિકોમાં રોષ અને અસમંજસની સ્થિતિ બનેલી છે.