Last Updated on by Sampurna Samachar
તાજેતરમાં જ ૧૭૪ પાનાની નવી ગાઇડલાઇન મેન્યુઅલ
બ્રિટિશ કાળની પરંપરા ખતમ કરાઇ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતીય સેનાએ બ્રિટિશ શાસન સમયની પરંપરાઓને સદંતર નાબૂદ કરવા માટે પોતાના યુનિફોર્મ અને ગ્રૂમિંગ સંબંધિત નિયમોમાં મોટા ફેરફાર કર્યા છે. સેના દ્વારા તાજેતરમાં જ ૧૭૪ પાનાની નવી ગાઇડલાઇન મેન્યુઅલ ‘આર્મી યુનિફોર્મ્સ-૨૦૨૬’ બહાર પાડવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ પ્રકારની મેન્યુઅલ છેલ્લે આઠ વર્ષ પહેલાં બહાર પાડવામાં આવી હતી. નવો આદેશ દેશની બદલાતી સાર્વભૌમ ઓળખ અને ભારતીયતાને ઉજાગર કરે છે.

‘બંદી જેકેટ’ને મંજૂરી: ભારતીય સંસ્કૃતિના પ્રતીક સમાન બંધ-ગળા વાળા ‘બંદી જેકેટ’ને હવે ઔપચારિક કાર્યક્રમોમાં ફોર્મલ ડ્રેસ તરીકે પહેરવાની મંજૂરી આપવામાં આવી છે. આ જેકેટ સોલિડ અને સોબર રંગનું હોવું જોઈએ.
લેફ્ટનન્ટ જનરલ વી.પી.એસ. કૌશિકે જણાવ્યું
શિયાળા માટે નવો ગણવેશ: તમામ રેન્કના સૈનિકો માટે ૩બી નામનો નવો વિન્ટર ડ્રેસ રજૂ કરાયો છે, જેમાં અંગોલા શર્ટ સાથે બેટલ જેકેટ અને બેરેટ (ટોપી) સામેલ છે.
સેરેમોનિયલ બેલ્ટ હટાવાયો: ઓફિશિયલ ‘મેસ ડ્રેસ નંબર ૫’ અને ‘નંબર ૬’ માંથી સેરેમોનિયલ પાઉચ બેલ્ટને હટાવી દેવામાં આવ્યો છે.
તલવાર રાખવી વૈકલ્પિક: પરેડ દરમિયાન રિવ્યુઇંગ ઑફિસર્સ માટે હવે તલવાર સાથે રાખવી વૈકલ્પિક કરી દેવાઈ છે. મહિલા અધિકારીઓ સત્તાવાર કાર્યક્રમોમાં સાદા રંગની સાડી અથવા દુપટ્ટા સાથે કુર્તા-સલવાર અને એન્કલ-લેન્થ સીધી પેન્ટ પહેરી શકશે. જોકે, સ્લીવલેસ કુર્તા, પ્લાઝો કે સિગારેટ પેન્ટ જેવા કેઝ્યુઅલ કપડાં પહેરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
નવા મેન્યુઅલમાં સૈનિકોના લુક અને ગ્રૂમિંગને લઈને અત્યંત કડક સૂચનાઓ આપવામાં આવી છે:
ટેટૂ અને પિયર્સિંગ: શરીર પર કોઈ પણ જગ્યાએ ટેટૂ ચિતરાવવા પર કે પિયર્સિંગ પર સખત મનાઈ છે.
ધાર્મિક ચિહ્નો અને દોરા: યુનિફોર્મ સાથે કોઈ પણ પ્રકારના ધાર્મિક ચિહ્નો કે બ્રેસલેટ પહેરી શકાશે નહીં. માત્ર પૂજાનો પવિત્ર દોરો કાંડા પર બાંધી શકાશે. શીખ સૈનિકોને તેમના ધાર્મિક નિયમો મુજબ છૂટછાટ યથાવત્ રહેશે.
મૂછો અને હેરકટ: સૈનિકોની મૂછો ૧૨ સેન્ટીમીટર કરતાં વધુ લાંબી હોવી જાેઈએ નહીં. પરફ્યુમ અને કોસ્મેટિક્સ: ડ્યુટી પર અથવા યુનિફોર્મમાં સૈનિકો ડિઓડરન્ટ કે પરફ્યુમનો ઉપયોગ નહીં કરી શકે. મહિલા કર્મચારીઓ માટે લિપસ્ટિક, કલરફૂલ નેલપોલિશ, બિંદી કે નોઝ પિન લગાવવા પર પ્રતિબંધ છે. તેઓ સિંદૂર લગાવી શકે છે, પણ તે ટોપી પહેર્યા પછી દેખાવું જોઈએ નહીં.
નવા નિયમોમાંથી ‘રોયલ’ જેવા બ્રિટિશ કાળના જૂના શબ્દોને પણ હંમેશા માટે હટાવી દેવામાં આવ્યા છે. લેફ્ટનન્ટ જનરલ વી.પી.એસ. કૌશિકે જણાવ્યું કે, આ ફેરફાર સેનાને ભારતીય વિચારધારાને અનુરૂપ બનાવવાની દિશામાં એક મોટું પગલું છે.
ઉલ્લેખનીય છે કે, પાંચ વર્ષ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના કેવડિયા ખાતે યોજાયેલી ‘કમ્બાઇન્ડ કમાન્ડર્સ કોન્ફરન્સ’માં સશસ્ત્ર દળોને ઔપનિવેશિક પ્રથાઓ ખતમ કરી ભારતીય રીત-રિવાજો અપનાવવાનો નિર્દેશ આપ્યો હતો, જેના ભાગરૂપે આ ફેરફારો અમલી કરાયા છે.