Last Updated on by Sampurna Samachar
બ્લાસ્ટમાં શાંતિ સમિતિનું કાર્યાલય સંપૂર્ણપણે નાશ પામ્યું
ઓછામાં ઓછા સાત લોકો માર્યા ગયાના અહેવાલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
પાકિસ્તાનના દક્ષિણ વઝીરિસ્તાનમાંથી વિસ્ફોટના સમાચાર સામે આવ્યા છે. જે આ વિસ્ફોટમાં સાત લોકોના મોત થયાના અહેવાલ છે. જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, સ્થાનિક શાંતિ સમિતિની બેઠક દરમિયાન આ વિસ્ફોટ થયો હતો. બોમ્બ વિસ્ફોટમાં વાના બજારમાં સ્થિત શાંતિ સમિતિનું કાર્યાલય સંપૂર્ણપણે નાશ પામ્યું છે. અનેક લોકો કાટમાળમાં ફસાયેલા છે.
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વિસ્ફોટમાં એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે. અત્યાર સુધીમાં કાટમાળમાંથી ૪ ઘાયલોને બચાવી લેવામાં આવ્યા છે અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. મળતા અહેવાલ અનુસાર દક્ષિણ વઝીરિસ્તાનના વાના વિસ્તારમાં સ્થાનિક શાંતિ સમિતિના સભ્યના કાર્યાલયને નિશાન બનાવીને કરવામાં આવેલા ઘાતક વિસ્ફોટમાં ઓછામાં ઓછા સાત લોકો માર્યા ગયા અને ૧૫ થી વધુ ઘાયલ થયા હતા.
ગત માર્ચ મહિનામાં થયો હતો IED બ્લાસ્ટ
વિસ્ફોટને કારણે ઓફિસ ધરાશાયી થઈ ગઈ અને ત્યાં હાજર લોકો કાટમાળ નીચે દટાઈ ગયા. સ્થાનિક રહેવાસીઓ સાથે બચાવ ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ઘાયલો અને મૃતકોને બચાવી લીધા હતા. ત્યારબાદ તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા.
ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને વિસ્તારને ઘેરી લીધો હતો અને હુમલા માટે જવાબદાર લોકોની ઓળખ માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. અધિકારીઓએ હજુ સુધી હુમલાખોરો કે વિસ્ફોટમાં વપરાયેલા વિસ્ફોટકો વિશે કોઈ માહિતી જાહેર કરી નથી. પોલીસે જણાવ્યું હતું કે, તપાસ ચાલુ છે અને અધિકારીઓ ગુનેગારોને શોધી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગયા માર્ચ મહિનામાં પાકિસ્તાનના દક્ષિણ વઝીરિસ્તાનમાં મૌલાના અબ્દુલ અઝીઝ મસ્જિદમાં IED વિસ્ફોટ થયો હતો. જેમાં JUI જિલ્લાના વડા અબ્દુલ્લા નદીમ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જિલ્લા પોલીસ અધિકારી આસિફ બહાદુરાએ જણાવ્યું હતું કે, આઝમ વારસક બાયપાસ રોડ પર આવેલી મૌલાના અબ્દુલ અઝીઝ મસ્જિદમાં બપોરે ૧:૪૫ વાગ્યે એક ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) વિસ્ફોટ થયો હતો. જે મસ્જિદના પ્લેટફોર્મ પર લગાવવામાં આવ્યો હતો. આ હુમલામાં અન્ય ત્રણ લોકોને પણ સામાન્ય ઈજાઓ થઈ હતી.