Last Updated on by Sampurna Samachar
પાકિસ્તાને તાબડતોબ રાજીનામાને મોટું સંકટ ગણાવ્યું
કોઇ કારણથી ઓફિસરો અને સૈનિકોમાં આક્રોશ જોવા મળ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
પહલગામ આતંકી હુમલા બાદ ભારતે કરેલી કાર્યવાહીની દહેશતથી પાકિસ્તાનમાં અને પાકિસ્તાનની સેનામાં ભારે હડકંપ મચ્યો છે. આ બધા વચ્ચે પાકિસ્તાનમાં સૈન્ય ઓફિસરો અને સૈનિકોના ધડાધડ રાજીનામા પડી રહ્યા હોવાનુ સામે આવ્યુ છે. એવું કહેવાઈ રહ્યું છે કે પાકિસ્તાનમાં ૧૦૦ જેટલા સેનાના કમાન્ડરો અને ૫૦૦ આસપાસ સૈનિકોએ નોકરી છોડવાની જાહેરાત કરીને પોતાના રાજીનામા મોકલી દીધા છે.
ભારત તરફથી જે રીતે તૈયારીઓ થઈ રહી છે તે જોતા પાકિસ્તાનમાં હાલ ભારે ખળભળાટ મચ્યો છે. એવું કહેવાય છે કે સેનાધ્યક્ષ જનરલ આસિમ મુનીરનો ખેલ હવે ખતમ થવાનો છે. મુનીર પર આતંકવાદી સંગઠનો દ્વારા કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલો કરાવવાનો આરોપ છે. અણેરિકા પણ મુનીરને પસંદ કરતું નથી. આવામાં મુનીરનો આ દાવ ઉલ્ટો પડતો જોવા મળી રહ્યો છે.
કામ કરવાની ખરાબ રીતભાતથી નારાજગી
ભારત-પાકિસ્તાન સરહદની સુરક્ષા કમાન સંભાળનારી ૧૧ મી કોરના ટોચના કમાન્ડર લેફ્ટેનન્ટ જનરલ ઉમર અહમદ બુખારીએ સેના હેડક્વાર્ટરને આ અંગે જાણકારી મોકલી છે. તેમણે તાબડતોબ રાજીનામાને મોટું સંકટ ગણાવ્યું છે. એવું કહેવાય છે કે સૈન્ય કમાન્ડર પોતે અસમંજસમાં છે. મનમાની રીતે એક કોરથી બીજી કોરમાં રિપોર્ટિંગ, ટ્રાન્સફર-પોસ્ટિંગમાં ભાઈ-ભત્રીજાવાદ અંગે ઓફિસરો અને સૈનિકોમાં ગુસ્સો છે. સમયસર પગાર નહીં મળવાથી અને કામ કરવાની ખરાબ રીતભાતથી પણ નારાજગી જોવા મળી રહી છે.
પહેલગામ હુમલાને કારણે હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે ભારે તણાવ જોવા મળી રહ્યો છે. જ્યારે પાકિસ્તાની સૈન્ય હેડક્વાર્ટરે બલુચિસ્તાન-ક્વેટામાં ૧૨ મી કોર અને અન્ય કમાનોના સેનાધિકારીઓ અને ફૌજીઓને ૧૧મી કોરમાં રિપોર્ટ કરવાનું કહ્યું છે. ૧૧મી કોરના કમાન્ડર લેફ્ટેનન્ટ જનરલ ઉમર અહમદ બુખારી એક વર્ષથી તેની કમાન સંભાળે છે. પંરતુ રાજીનામાની હારમાળાથી તેમના પગ નીચેથી જમીન સરકી રહી છે. સેનામાં મોરચો સંભાળતા ઓફિસરોની કમી થઈ ગઈ છે.
એવું કહેવાય છે કે રોજ નવા નવા આદેશોથી સૈન્ય કમાન્ડરોમાં ભારે ગુસ્સો છે. વારંવાર બદલાતી પોસ્ટિંગ અને જવાબદારીઓ વચ્ચે પરિવારનું દબાણ વધ્યું છે. ભારત-પાકિસ્તાન સરહદે મોરચો સંભાળવા માટે પગપાળા સૈન્ય રેજિમેન્ટ, પહાડી બટાલિયન અને ફોરવર્ડ પોસ્ટ પર તૈનાતીના તોપખાના રેજિમેન્ટમાં સૈનિકોની અછત છે. પાકિસ્તાની સેનામાં ભારે નારાજગી, નબળું પડતું નેતૃત્વ અને સૈન્ય મનોબળમાં કમી સ્પષ્ટ જોવા મળી રહી છે.