Last Updated on by Sampurna Samachar
કૂચમાં પ્રદર્શનકારીઓએ સમૂહમાં હનુમાન ચાલીસાનુ કર્યુ પઠન
હુમલાના પીડિતોની યાદમાં બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
પહેલગામ આતંકી હુમલાની વિશ્વભરમાં આકરી નિંદા કરવામાં આવી રહી છે. ત્યારે આતંકી હુમલાનો વિરોધ કરવા અને હુમલાનો ભોગ બનેલા પીડિતો પ્રત્યે એકતા દર્શાવવા માટે વિશ્વભરના ઘણા શહેરોમાં ભારતીયો દ્વારા કૂચ યોજવામાં આવી હતી. જર્મનીના સ્ટુટગાર્ટમાં પણ આવી જ એક માર્ચ કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભારતીયોએ ભાગ લીધો હતો.
ભારતીય પરિવાર BW ના બેનર હેઠળ ભારતીય ડાયસ્પોરાએ પહલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા ૨૬ નિર્દોષ લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે સ્ટુટગાર્ટના સ્ક્લોસપ્લાટ્ઝ ખાતે શાંતિપૂર્ણ કૂચ યોજી હતી.
લોકોએ કપાળ પર તિલક લગાવી કૂચમાં ભાગ લીધો
સ્થાનિક સમય મુજબ સાંજે ૫ વાગ્યે કૂચ શરૂ થઈ હતી, જેમાં ભારતીય સમુદાયના લોકોએ હાથમાં ત્રિરંગો લઈને ભાગ લીધો હતો. કૂચ કાઢતા પહેલા લોકોએ કપાળ પર તિલક લગાવ્યું હતું. આ ઔપચારિક સ્વાગત માટે નહીં, પરંતુ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા અને સાંસ્કૃતિક એકતા દર્શાવવા, સૌ ભારતીયો એક હોવાના પ્રતિક સ્વરૂપ માટે કરવામાં આવ્યું હતું.
જર્મનીની શેરીઓમાં યોજાયેલ કૂચ દરમિયાન, ભારતીયોએ હિન્દી અને અંગ્રેજી બંને ભાષાઓમાં સૂત્રો લખીને વિચારો પણ વ્યક્ત કર્યા, ત્યારબાદ શાંતિ પાઠ અને આતંકી હુમલાના પીડિતોની યાદમાં બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું. આ દરમિયાન હનુમાન ચાલીસાનું સામુહિક પઠન પણ કરવામાં આવ્યું. હનુમાન ચાલીસાના સામૂહિક વાંચનમાં ઉપસ્થિત બધા ભારતીયોએ ભાગ લીધો હતો. આ સામૂહિક પઠનથી આધ્યાત્મિક શક્તિનો સંચાર થવા સાથે તમામ લોકોમાં હિંમત, શ્રદ્ધા અને એકતા માટે પણ હાકલ કરવામાં આવી.
ત્યારબાદ હાજર લોકોએ એક સ્વરમાં “હમ હોંગે કામયાબ” ગીત ગાયું અને પછી ભારતીય રાષ્ટ્રગીત સાથે પરસ્પર એકતા અને ભાઈચારાની ભાવના જાળવી રાખવામાં આવી. કૂચ કરનારા લોકોનો એક ગ્રુપ ફોટો પણ લેવામાં આવ્યો, ત્યારબાદ સેન્ટ્રલ સ્ટુટગાર્ટમાં લગભગ ૧ કિલોમીટર સુધી શાંતિ કૂચ કાઢવામાં આવી. લોકોએ ‘ભારત માતા કી જય’ ના સૂત્રો પોકારતા તેમાં ભાગ લીધો.
આ કૂચ દ્વારા, સ્ટુટગાર્ટમાં રહેતા હિન્દુ સમુદાય દ્વારા એક શક્તિશાળી અને સંયુક્ત સંદેશ આપવામાં આવ્યો, હિન્દુ જીવન મહત્વપૂર્ણ છે. આ સમુદાય આતંકવાદ સામે એક મજબૂત અવાજ તરીકે ઉભો છે અને એક છે. સ્ટુટગાર્ટ પહેલા, ભારતીય સમુદાયે બર્લિનમાં પણ આવી જ માર્ચ પાસ્ટ કરી હતી. આ કૂચમાં ભારતીય સમુદાયના ૫૦૦ થી વધુ લોકોએ ભાગ લીધો હતો.