Last Updated on by Sampurna Samachar
બ્રિટન કાર પર હવે ૧૦ ટકા જ ડ્યુટી લગાડશે તો કાર થશે સસ્તી
ભારત થી યુકે થતી ૯૯ ટકા નિકાસ પર ટેરિફ દૂર થશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારત અને યુકેએ સત્તાવાર ધોરણે ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર હસ્તાક્ષર કર્યા હતાં. જે હેઠળ બ્રિટને ૯૦ ટકા નિકાસ પર ડ્યૂટી ઘટાડવા સહમતિ દર્શાવી છે. જેથી ભારતમાં મળતી બ્રિટિશ કાર સસ્તી થશે. હાલ બ્રિટનમાં ઉત્પાદિત કાર પર ૧૦૦ ટકાથી વધુ ડ્યુટી લાગે છે. જે હવે આ કરાર હેઠળ ૯૦ ટકા ઘટાડી ૧૦ ટકા કરાઈ છે. જેનાથી હાઈ કેટેગરીના વ્હિકલ વધુ સુલભ થશે.
ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટના કારણે ભારતમાં મળતી જેગુઆર લેન્ડ રોવર, બેન્ટલે, બીએમડબ્લ્યૂ ગ્રૂપની મીની, રોલ્સ રોય્સ, અને એસ્ટન માર્ટિનની લક્ઝ્યુરિયસ કાર સસ્તી થશે. બ્રિટન કાર પર હવે ૧૦ ટકા જ ડ્યુટી ચૂકવવાની હોવાથી કિંમતમાં મોટો ઘટાડો થઈ શકે છે. ઈંગ્લેન્ડમાં ઉત્પાદિત નોર્ટન મોટરસાયકલના નિર્માતા ટીવીએસને પણ લાભ થશે. કાર ઉત્પાદકો ઉપરાંત સ્કોચ વ્હિસ્કી પર પણ ડ્યુટી ૧૫૦ ટકાથી ઘટાડી દસ વર્ષમાં ૪૦ ટકા કરવામાં આવશે.
બંને દેશો વચ્ચે ગાઢ સંબંધો સ્થાપવાનુ પગલું
ભારત અને યુકે વચ્ચે થયેલા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ હેઠળ ૨૦૪૦ સુધી બંને દેશો વચ્ચે કુલ વાર્ષિક રૂ. ૨૫.૫ અબજ પાઉન્ડનો વેપાર વધવાનો અંદાજ છે. ૨૦૨૪માં બંને દેશો વચ્ચે ૪૨.૬ અબજ પાઉન્ડનો દ્વિપક્ષીય વેપાર થયો હતો. FTA ભારતીય નિકાસને પ્રોત્સાહન આપે છે. કારણ કે, ભારતથી યુકે થતી ૯૯ ટકા નિકાસ પર ટેરિફ દૂર થશે. આયાત ડ્યૂટી દૂર થતાં ટેક્સટાઈલ, મરીન ફૂડ, લેધર પ્રોડક્ટ, ઓટો કમ્પોનન્ટ સેક્ટરને સીધો લાભ મળશે. ભારતના ટેક્સટાઈલ અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરને આ કરારથી બ્રિટિશ માર્કેટમાં ગ્રોથ હાંસલ કરવા વિશાળ તકો મળશે.
આ કરારથી પ્રોફેશનલ ડાયવર્સિફિકેશનમાં પણ સુધારો થશે. વર્તમાન ઈમિગ્રેશન પોલિસીને સમાયોજિત કર્યા વિના પ્રોફેશનલ્સ માટે વિઝા પ્રક્રિયાઓ સરળ બનાવવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુકેના વડાપ્રધાન કીર સ્ટારમર બંનેએ આ કરારને આવકાર્યો હતો. તેમણે આ કરારને બંને દેશો વચ્ચે ગાઢ સંબંધો સ્થાપિત થવા તરફનુ પ્રગતિશીલ પગલું ગણાવ્યું હતું. યુરોપિયન યુનિયનથી અલગ થયા બાદ યુકે અને ભારત માટે આ સૌથી મહત્ત્વપૂર્ણ કરાર છે.