Last Updated on by Sampurna Samachar
હવે રાજ્યોમાં શિક્ષણ મંત્રીઓ સામે વિરોધ શરૂ
દેશના અનેક ભાગોમાં વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાં બાદ હવે દેશભરના વિવિધ રાજ્યોમાં રાજકારણ ગરમાયું છે. વિવિધ વિધાર્થી સંગઠનો અને વિપક્ષી દળોએ હવે ઝારખંડ, પંજાબ, કેરળ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને તેલંગાણાના શિક્ષણ મંત્રીઓ પાસે રાજીનામાંની માગ ઝડપી બનાવી છે.

લખનઉ સહિત દેશના અનેક ભાગોમાં વિદ્યાર્થીઓ રસ્તા પર ઊતરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પ્રદર્શનકારીઓનું કહેવું છે કે જો પેપર લીકની જવાબદારી સ્વીકારીને કેન્દ્રીય શિક્ષણ મંત્રી રાજીનામું આપી શકતા હોય, તો રાજ્યોમાં આવી ગેરરીતિઓ માટે જવાબદારો સામે પણ સમાન કાર્યવાહી થવી જોઈએ.
વિપક્ષી પાર્ટી YSRCP એ મોટો મોરચો માંડ્યો
પંજાબમાં બે મોટી સરકારી ભરતીઓને લઈને ભગવંત માન સરકાર વિપક્ષના નિશાના પર આવી ગઈ છે. બાબા ફરીદ યુનિવર્સિટી દ્વારા આયોજિત ફાર્મસી ઓફિસર પરીક્ષા દરમિયાન પોલીસ અને ફ્લાઈંગ સ્કવોડે ફરીદકોટ, ફિરોઝપુર અને કોટ કપૂરાના કેન્દ્રો પર દરોડા પાડીને ૩૫ લોકોની અટકાયત કરી હતી. પરીક્ષા દરમિયાન ઉમેદવારો પાસેથી બ્લૂટૂથ ડિવાઇસ, બટન કેમેરા અને વાયરલેસ સાધનો મળી આવ્યા હતા, જેના દ્વારા હરિયાણા અને રાજસ્થાનના કંટ્રોલ રૂમમાંથી ઉત્તરો બોલવામાં આવી રહ્યા હતા.
બીજી તરફ, કૃષિ વિકાસ અધિકારી ભરતી પરીક્ષામાં પણ પેપર લીક કરવાનો અને ગ્રેસ માર્ક્સ આપીને મામલો દબાવવાનો આરોપ મૂકીને વિપક્ષે રાજ્યના શિક્ષણ અને આરોગ્ય મંત્રીના રાજીનામાંની માગ કરી છે.
આંધ્ર પ્રદેશમાં મેગા DSC2025 શિક્ષક ભરતી પરીક્ષાને લઈને વિપક્ષી પાર્ટી YSRCP એ મોટો મોરચો ખોલ્યો છે. પાર્ટીએ શિક્ષણ મંત્રી નારા લોકેશના રાજીનામાંની માંગ સાથે સમગ્ર મામલાની કોર્ટની દેખરેખ હેઠળ CBI તપાસ કરવાની માંગ કરી છે.
પૂર્વ શિક્ષણ મંત્રી આદિમુલાપુ સુરેશે આરોપ લગાવ્યો છે કે પ્રશ્નપત્ર અપલોડ કરવા જેવા અતિ ગોપનીય કામો આઉટસોર્સ કર્મચારીઓ પાસે કરાવવામાં આવ્યા હતા, જેના કારણે આશરે ૩.૫ લાખ ઉમેદવારોનું ભવિષ્ય અધ્ધરતાલ થયું છે. YSRCP એ આ મામલે સેંકડો ડિજિટલ પુરાવા અને દસ્તાવેજો રાજ્યપાલને સોંપ્યા છે.
તેલંગાણામાં ભારતીય જનતા પાર્ટીએ મુખ્યમંત્રી રેવંત રેડ્ડી પાસે શિક્ષણ મંત્રી પદેથી રાજીનામું આપવાની માગ કરી છે. રાજ્ય ભાજપ અધ્યક્ષ એન. રામચંદર રાવે જણાવ્યું હતું કે, જો સરકાર વિદ્યાર્થીઓની ટ્યુશન ફી રી-ઇમ્બર્સમેન્ટ યોજનાના બાકી નીકળતા ૧૨,૦૦૦ કરોડ ચૂકવી શકતી ન હોય, તો મુખ્યમંત્રીએ શિક્ષણ ખાતું પોતાની પાસે ન રાખવું જોઈએ. તેમણે ચેતવણી આપી હતી કે, જો લગભગ ૨૦ લાખ વિદ્યાર્થીઓને સ્પર્શતા આ મુદ્દાનો ઉકેલ લાવવામાં નહીં આવે તો સરકારે ભારે જનરોષ વેઠવો પડશે.