Last Updated on by Sampurna Samachar
પૂરના પાણી ઘૂસી જતાં સ્નેક ફાર્મ તણાયું
ચીનમાં ભૂસ્ખલન થતાં ૨૧ લોકોના દર્દનાક મોત
(સંપૂર્ણ સમાચાર સેવા)
ચીન હાલ ખરાબ કુદરતી આફતનો સામનો કરી રહ્યુ છે. હાલમાં ડરાવી દે તેવા બે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એક તરફ ઉત્તર-પશ્ચિમ ચીનમાં થયેલા ભીષણ ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને ૨૧ પર પહોંચી ગયો છે, તો બીજી તરફ ગુઆંગ્શી વિસ્તારમાં પૂરના પાણી સાથે સેંકડો ખતરનાક સાપ રહેણાંક વિસ્તારોમાં ઘૂસી આવ્યા છે, જેના કારણે લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

તમને જણાવી દઈએ કે, ચીનમાં ટાયફૂન માયસેકના કારણે ગુઆંગ્શી વિસ્તારમાં આવેલું પૂર હવે એક નવો અને અનોખો ખતરો લઈને આવ્યું છે. એક સ્થાનિક સમાચાર એજન્સીના જણાવ્યા પ્રમાણે હેંગઝોઉના એક ગામમાં પૂરના પાણી ઘૂસી જતાં એક સ્નેક ફાર્મ સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયું છે.
લોંગનાન શહેરમાં અચાનક ભીષણ ભૂસ્ખલનથી તબાહી
આ દુર્ઘટનાના કારણે ફાર્મમાંથી ૮૦૦ થી વધુ સાપ પાણીમાં તણાઈ ગયા હતા અને આસપાસના ગામોમાં ફેલાઈ ગયા હતા. આવી સ્થિતિમાં હવે વહીવટીતંત્ર પૂરની સાથે-સાથે આ સાપના ખતરાથી નિપટવાના બેવડા પડકારનો સામનો કરી રહ્યું છે.
ચીનના અહેવાલ પ્રમાણે ગાન્સુ પ્રાંતના લોંગનાન શહેરમાં અચાનક થયેલા ભીષણ ભૂસ્ખલનના કારણે ભારે તબાહી મચી છે. માટીના કાટમાળ નીચે કુલ ૩૩ લોકો જીવતા દફનાઈ ગયા હતા. સઘન રેસ્ક્યૂ ઓપરેશન બાદ તમામ લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા હતા, પરંતુ અત્યંત દુ:ખદ બાબત એ છે કે તેમાંથી ૨૧ લોકોના મોત થઈ ચૂક્યા હતા. જોકે રાહતના સમાચાર એ છે કે કાટમાળમાંથી બહાર કાઢવામાં આવેલા લોકોમાંથી ૫ લોકો સંપૂર્ણપણે સુરક્ષિત છે, જ્યારે ૭ લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે, જેમની સારવાર ચાલી રહી છે.
રિપોર્ટસ પ્રમાણે હાલમાં આ ભૂસ્ખલન પાછળના ચોક્કસ કારણો જાણી શકાયા નથી. સરકારી ટીવી ચેનલ સીસીટીવી દ્વારા જાહેર કરવામાં આવેલી તસવીરો અને વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આકાશ બિલકુલ સાફ છે અને તડકો નીકળેલો છે, જેની વચ્ચે રેસ્ક્યૂ ટીમો અને ત્રણ મોટી મશીનો કાટમાળ હટાવવાની કામગીરીમાં જોડાયેલી છે. વહીવટીતંત્ર હવે આ ઘટનાના કારણોની તપાસ કરી રહ્યું છે.