Last Updated on by Sampurna Samachar
રેસ્ટોરન્ટ અને ઉદ્યોગો માટે કોલસો, કેરોસીન અને બાયોમાસ જેવા વૈકલ્પિક ઇંધણોના ઉપયોગને મંજૂરી
૪૮ હજાર કિલોલિટર વધારાનું કેરોસીન આપ્યું: સરકાર
(સંપૂર્ણ સમાચાર સેવા)
પશ્ચિમ એશિયાના સંઘર્ષને કારણે દેશમાં રાંધણ ગેસના પુરવઠા પર માઠી અસર પડી છે. ગેસની અછતને પહોંચી વળવા અને ઘરેલું ગ્રાહકોને મુશ્કેલી ન પડે તે માટે કેન્દ્ર સરકારે હોટલ, રેસ્ટોરન્ટ અને ઉદ્યોગો માટે કોલસો, કેરોસીન અને બાયોમાસ જેવા વૈકલ્પિક ઇંધણોના ઉપયોગને મંજૂરી આપી દીધી છે.

કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ લોકસભામાં જણાવ્યું હતું કે LPG પરનું દબાણ ઘટાડવા માટે આ પગલાં લેવાયા છે. પર્યાવરણ મંત્રાલયે રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને સૂચના આપી છે કે, એક મહિના સુધી હૉસ્પિટાલિટી અને રેસ્ટોરન્ટ સેક્ટરમાં બાયોમાસ,RDF પેલેટ્સ, કેરોસીન અને કોલસાનો ઉપયોગ કરવા દેવામાં આવે.
લઘુતમ ગાળો વધારીને ૪૫ દિવસ કરવામાં આવ્યો
કોલ ઇન્ડિયા અને સિંગરેણી કોલિયરીઝને નાના અને મધ્યમ ગ્રાહકોને વધુ પ્રમાણમાં કોલસો ફાળવવા આદેશ અપાયો છે. સરકાર દ્વારા રાજ્યોને વધારાનું ૪૮,૦૦૦ કિલોલીટર કેરોસીન ફાળવવામાં આવ્યું છે.કેન્દ્રીય પેટ્રોલિયમ વિભાગના જોઇન્ટ સેક્રેટરી સુજાતા શર્માએ જણાવ્યું હતું કે, ત્રિમાસિક ફાળવણી ઉપરાંત કેન્દ્રએ રાજ્ય સરકારોને વિતરણ માટે વધારાનું ૪૮,૦૦૦ કિલોલીટર કેરોસીન આપ્યું છે.
કોલસા મંત્રાલયે પણ કોલ ઇન્ડિયાને નાના અને મધ્યમ ગ્રાહકો માટે વધુ માત્રામાં કોલસો ફાળવવા સૂચના આપી છે.અછતના ડરથી લોકોમાં પેનિક બુકિંગ (વધારે પડતું બુકિંગ) વધતા સરકારે બે સિલિન્ડર વચ્ચેના અંતરમાં ફેરફાર કર્યો છે. બે સિલિન્ડર બુકિંગ વચ્ચેનો લઘુતમ ગાળો વધારીને ૪૫ દિવસ કરવામાં આવ્યો છે. શહેરોમાં આ ગાળો ૨૫ દિવસ રહેશે.
અગાઉ આ મર્યાદા ૨૧ દિવસની હતી, જે સંઘર્ષ શરૂ થયા બાદ વધારવામાં આવી છે.સરકારે સ્પષ્ટતા કરી છે કે, ખોટી માહિતી અને અફવાઓને કારણે બુકિંગમાં અનેકગણો વધારો થયો છે. સરકારે ગ્રાહકોને અપીલ કરી છે કે તેઓ ગભરાઈને બિનજરૂરી બુકિંગ ન કરે. વ્યાપારી ઉપયોગ માટે માસિક જરૂરિયાતના ૨૦% LPG ફાળવવાનો ર્નિણય પણ લેવાયો છે જેથી સપ્લાય ચેઇન જળવાયેલી રહે.