Last Updated on by Sampurna Samachar
આંતકી પન્નુએ પાકિસ્તાનને સમર્થન આપી ભારત સામે ઝેર ઓંક્યું
આ ૧૯૬૫ કે ૧૯૭૧ નથી…. ૨૦૨૫ છે તેમ કહી ભારતને આપી ધમકી
(સંપૂર્ણ સમાચાર સેવા)
પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ખાલિસ્તાની નેતા ગુરપતવંત સિંહ ઉર્ફે પન્નુએ ભારત વિરૂદ્ધ ઝેર ઓક્યું છે. તેણે ભારતના બદલે પાકિસ્તાનને સમર્થન આપતાં નિવેદન આપ્યું છે કે, અમે પંજાબની સરહદો પરથી ભારતને પાકિસ્તાન પર હુમલો નહીં કરવા દઈએ.
ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકી અને SFJ (શીખ ફોર જસ્ટિસ) ના પ્રમુખ પન્નુએ આઝાદ ડિજિટલના માધ્યમથી ખુલ્લેઆમ પાકિસ્તાનને સમર્થન આપ્યું છે. તેમજ ભારતને ધમકી આપી છે કે, આ ૧૯૬૫ કે ૧૯૭૧ નથી…. ૨૦૨૫ છે. હું પાકિસ્તાનની જનતાને વિશ્વાસ આપું છું કે, અમે પાકિસ્તાનની સાથે ઈંટની જેમ ઉભા છીએ. કોઈ પણ ભારતીય સેનાની તાકાત નથી કે, તે પંજાબ ક્રોસ કરી પાકિસ્તાન પર હુમલો કરે. કારણકે, પાકિસ્તાનનું નામ જ પાક છે.
પન્નુએ ખાલિસ્તાનને માન્યતા આપવાની શરત મૂકી
પન્નુએ કહ્યું કે, અહીં પાકિસ્તાનને સમજવાની જરૂર છે, શીખ સમજી ચૂક્યા છે. જોકે, પન્નુએ પાકિસ્તાનની સરકાર અને આવામની સામે ખાલિસ્તાનને માન્યતા આપવાની શરત મૂકી છે. તેણે પહલગામમાં હિન્દુઓના નરસંહાર પર ભારત પર જ આરોપ મૂક્યો છે કે, આ હુમલા પાછળ રાજનીતિ થઈ છે. ભારતે પાકિસ્તાનને વિખુટો પાડી દેવા હિન્દુઓની હત્યા કરી છે. વિશ્વભરમાં અમે પાકિસ્તાન સાથે ઉભા રહીશું. અને ખાતરી કરીશું કે, ભારતની કૂટનીતિથી પાકિસ્તાન એકલું ન પડી જાય.
પન્નુએ કહ્યું કે, જે પહલગામમાં બન્યું, જે લોકોએ હિન્દુઓને માર્યા, તેનું કારણ સમજવુ જરૂરી છે. તેનું રાજકીય કારણ છે. ગંદા રાજકારણ માટે આ ઘટનાને અંજામ આપવામાં આવી છે. પહલગામમાં જે હિન્દુઓનો નરસંહાર થયો, તે ચૂંટણી જીતવા માટે થયો છે. ચૂંટણી જીતવા તેમજ પાકિસ્તાનને એકલું પાડી દેવાં માટેનું ષડયંત્ર છે. પાકિસ્તાનને આતંકવાદ ફેલાવનારૂ માની તેમણે પોતાના જ હિન્દુ ધર્મના લોકોને મારી નાખ્યા.
ભારતનો આતંકી પન્નુ અવારનવાર ભારત વિરૂદ્ધ ઝેર ઓંકતો રહે છે. તેણે ઉત્તર પ્રદેશમાં અયોધ્યા રામ મંદિર સહિત અનેક સ્થળોએ અશાંતિ ફેલાવવાની ધમકી પણ આપી હતી. આ સિવાય ખાલિસ્તાની હરદીપસિંહ નિજ્જરની હત્યા મામલે ભારત સરકારનો હાથ હોવાનો આરોપ પણ મૂક્યો છે. અમેરિકામાં સ્થાયી પંજાબમાં ભારત વિરૂદ્ધ લોકોને ભડકાવવા તેમજ આતંક ફેલાવવાનું કામ પણ કરે છે.