Last Updated on by Sampurna Samachar
મુખ્યમંત્રી સુધી લેખિત અને મૌખિક રજૂઆતો પણ કરાઇ
અનેક રજૂઆતો છતાં તંત્ર ઘોર નિંદ્રામાં
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહેસાણા જિલ્લામાં આવેલી કેમિકલ ફેક્ટરીઓ દ્વારા ફેલાવવામાં આવતા જીવલેણ પ્રદૂષણ સામે સ્થાનિક ગ્રામજનોમાં રોષ ભભૂક્યો છે. છેલ્લા ૪ વર્ષથી ફેક્ટરીઓના ઝેરી કેમિકલ યુક્ત ધુમાડા અને પ્રદૂષિત વાતાવરણથી તોબા પોકારી ઉઠેલા ૪ થી ૫ ગામના લોકોએ હવે સરકાર સામે આરપારની બાયો ચડાવી છે.

આ લડતમાં આગળ આવેલી સ્થાનિક મહિલાઓએ તંત્રને હચમચાવી મૂકે તેવી ગંભીર ચીમકી ઉચ્ચારતા જણાવ્યું છે કે સરકાર કાં તો અમને જીવવા માટે શુદ્ધ વાતાવરણ આપે, નહિતર અમને ઈચ્છામૃત્યુની પરમિશન આપી દે.
પ્રદર્શન ફેક્ટરીઓના તાળાબંધી સુધી પહોંચી શકે
ગ્રામજનોનો આરોપ છે કે કેમિકલ ફેક્ટરીઓમાંથી નીકળતી ઝેરી હવાને કારણે આસપાસના ગામડાઓમાં રોગચાળો વકર્યો છે. સ્થાનિક નાગરિકો, ખાસ કરીને બાળકો અને વૃદ્ધોમાં શ્વાસની ગંભીર તકલીફ, સતત ઉધરસ અને અસહ્ય માથાના દુખાવાની બીમારીઓ ખૂબ જ વધી ગઈ છે. ઝેરી વાતાવરણના કારણે નાના બાળકોનું ભવિષ્ય પણ જોખમમાં મુકાયું છે. લોકો શારીરિક અને માનસિક રીતે આ પ્રદૂષણનો ભોગ બની રહ્યા છે.
સૌથી વધુ આશ્ચર્ય અને આક્રોશની વાત એ છે કે, ગ્રામજનોએ આ બાબતે સ્થાનિક તલાટીથી લઈને જિલ્લા કલેક્ટર, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને છેક મુખ્યમંત્રી સુધી લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે. છતાં પણ જવાબદાર તંત્ર ઘોર નિદ્રામાં હોય તેમ ફેક્ટરી માલિકો સામે કોઈ કડક પગલાં લેવામાં આવ્યા નથી. તંત્રની આ નિષ્ક્રિયતાથી કંટાળીને હવે ગ્રામજનોએ ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. જો આગામી દિવસોમાં આ પ્રદૂષણ ફેલાવતી કેમિકલ ફેક્ટરીઓ બંધ કરવામાં નહીં આવે અથવા પ્રદૂષણ પર નિયંત્રણ નહીં મેળવાય, તો આ પ્રદર્શન ફેક્ટરીઓના તાળાબંધી સુધી પહોંચી શકે છે.